નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: દેશની રાજધાની દિલ્હી અને સમગ્ર NCR હાલમાં કુદરત અને પ્રદૂષણના બેવડા માર હેઠળ છે. ગાઢ ધુમ્મસ અતિ ગંભીર સ્તરે પહોંચી ગયું હતું, જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટીને માત્ર 50 મીટર રહી જતાં વાહનોની ગતિ થંભી ગઈ છે. આ સ્થિતિ વચ્ચે હવાઈ અને રેલવે વ્યવહારને માઠી અસર પહોંચી છે.
- હવાઈ અને રેલવે વ્યવહાર ખોરવાયો
ગાઢ ધુમ્મસ અને સ્મોગની સૌથી વધુ અસર ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી છે. દિલ્હી એરપોર્ટ પર આજે કુલ 128 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેમાં 64 આગમન અને 64 પ્રસ્થાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 8 ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે અને 30થી વધુ ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે.
આ પણ વાંચોઃ ઉન્નાવ દુષ્કર્મ કેસ: સેંગરની મુક્તિ સુપ્રીમ કોર્ટે અટકાવી, દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે
રેલવેના જણાવ્યા અનુસાર, સોમવાર સવાર સુધીમાં 50થી વધુ ટ્રેનો કલાકોના વિલંબથી ચાલી રહી છે, જેના કારણે રેલવે સ્ટેશનો પર મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હવામાન વિભાગ અને એર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મુજબ, દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમી શ્રેણીમાં છે. ધુમ્મસ અને સ્મોગના મિશ્રણને કારણે હવામાં ઝેરી પડ છવાઈ ગયું છે. લોકોમાં આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને માથાના દુખાવા જેવી ફરિયાદો વધી રહી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા સંબંધિત એરલાઇન્સના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ અથવા કસ્ટમર સપોર્ટ નંબર પરથી ફ્લાઇટનું સ્ટેટસ તપાસી લે.
આ પણ વાંચોઃ દિલ્હી-NCRમાં પ્રદૂષણ અને ધુમ્મસનો બેવડો માર: AQI 500ની નજીક

