Site icon Revoi.in

અમદાવાદમાં પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળો વકરે તે પહેલા હોસ્પિટલોમાં OPD શરૂ કરવા માગ

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. ખાનગી હોસ્પિટલોના 75 ટકા બેડ ખાલી પડયા છે, જ્યારે મ્યુનિ., સરકારી અને મ્યુનિ. સાથે એમઓયુ કરેલી અન્ય હોસ્પિટલોમાં 69 ટકા બેડ ખાલી પડયા છે. ત્યારે આગામી સમયમાં ચોમાસુ શરુ થશે. ત્યારે પાણીજન્ય રોગચાળો માથું ઉંચકશે. આ સંજોગોમાં હવે કોરોનાની સારવાર માટેની હોસ્પિટલો ઘટાડી અન્ય રોગના દર્દીઓને પણ સારવાર મળતી થાય તેવી માંગણી ઉઠવા પામી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેમમાં ઘટાડો થતો જાય છે. મ્યુકોરમાઈકોસિસના કેસ પણ ઘટતા જાય છે. ત્યારે હવે ચોમાસુ નજીકમાં છે. ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. ડેન્ગ્યું, ચીકનગુનિયા અને મેલેરિયા જેવા રોગ માથુ ઉચકતા હોય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. હાલ ઘણી હોસ્પિટલોમાં કોરોના સિવાય અન્ય રોગની સારવાર કે નિદાન માટે ઓપીડી બંધ છે, આ સંજોગોમાં હોસ્પિટલોમાં અન્ય રોગના દર્દીઓની સારવાર ચાલુ કરી દેવી જોઈએ. તેમજ ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ તેવો મત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. પૂર્વ વિસ્તારની શારદાબેન અને એલ.જી. હોસ્પિટલમાં અન્ય રોગોની સારવાર શરૂ કરી દેવી જોઈએ તેવી માંગણી કોંગ્રેસમાંથી પણ ઉઠી છે. એક આગેવાને જણાવ્યું છે કે, પૂર્વમાં ચોમાસુ બેસતાં જ દર વર્ષની જેમ પાણીથી ફેલાતા કમળો, ટાઇફોઇડ, કોલેરા અને મચ્છરથી ફેલાતા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાલ્સીપેરમનો રોગચાળો દર વર્ષની જેમ માથું ઉંચકશે. કેટલાક ઠેકાણે કેમિકલવાળું પાણી રોડ પર ફરી વળતું હોવાથી ચામડીના રોગો પણ ફેલાય છે. શારદાબહેન હોસ્પિટલમાં રોજ 1400થી 1500 દર્દીઓ ઓપીડીના અને 150 જેટલા અંદરના દર્દીઓ સામાન્ય સંજોગોમાં સારવાર લેતા હોય છે. એલ.જી.માં 1800થી 1900 દર્દીઓ ઓપીડીમાં અને 200 ઇન્ડોર દર્દીઓ સારવાર લેતા હોય છે. હાલ ટી.બી., હૃદયરોગ, કીડની, કેન્સર, બી.પી., ડાયાબીટીસ, હાડકાના દર્દોવાળા દર્દીઓ સારવાર લેવા ક્યાં જાય તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. વી.એસ.ને પણ જનરલ હોસ્પિટલ તરીકે વધુ ડોક્ટરો સાથે કાર્યાન્વિત કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે.