Site icon Revoi.in

ધ્રાંગધ્રાઃ નર્મદા કેનાલમાંથી ડાયરેક્ટ મશીનો મુકીને પાણી લેતા ખેડુતોની પાઈપો તોડી નંખાતા રોષ

Social Share

ધ્રાંગધ્રાઃ રાજ્યમાં વરસાદના આગમનને હજુ પખવાડિયા જેટલો સમય બાકી છે. બીજીબાજુ ઘણાબધા ખેડુતોએ કપાસ સહિતના પાકની આગોતરી વાવણી કરી દીધી છે. અને ખેડુતો નર્મદા કેનાલ પર મશીનો મુકીને પાણી ખેંચીને પિયત કરી રહ્યા છે. ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓએ એસઆરપીને સાથે રાખીને નર્મદા કેનાલ પર લગાવેલી પાઈપો તોડી નાંખતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાંથી પસાર થતી નર્મદાના નીરની ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં હાલ પાણી ચાલુ કરી હળવદનો બ્રાહ્મણી ડેમ ભરવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડૂતોને પાણી ન આપવા માટે નર્મદા વિભાગના અધિકારીઓ સાથે એસ.આર.પી તૈનાત રાખી ખેડૂતની પાઈપલાઈનો તોડી કાઢવામાં આવી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે. આ કાર્ય મોડી રાત્રે કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. હાલ વાવણીનો સમય હોવાથી ખેડૂતો પાણીની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. સરકારની ખેડૂતો માટેની જરા પણ સંવેદનશીલતા રહી નથી, તે નરી આંખે જોઈ શકાય છે. તેમ ખેડુતો કહી રહ્યા છે, કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોની લડતમાં સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે જલદ કાર્યક્રમો આપવાનું એવાન કરવામાં આવ્યું છે. રવિવારે રાત્રે જ અધિકારીઓ દ્વારા ખેડૂતોની પાઈપલાઈન તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી.

આ બાબતે સ્થાનિક ખેડુત અગ્રણી જે.કે.પટેલ દ્વારા તીખા તેવર સાથે વીડિયો વાયરલ કરી સરકારને આખરી ચેતવણી આપવામાં આવી હતી. હાલ ગામડાના ખેડૂતોનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ પણ આ કામગીરી ચાલે છે, જેમાં નર્મદાના અધિકારીઓ અને એસ.આર.પી અને પોલીસ પ્રોટેક્શન રાખી પાઈપલાઈન હટાવી ખેડૂતોને વધું દેવા તળે દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અત્યારે ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે જ આ કામગીરી હાથ ધરવામાં આવતાં આગામી સમયમાં મોટા સ્વરૂપમાં આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.