Site icon Revoi.in

ગાંધીનગર સેકટર-30ના સરકારી ક્વાટર્સની જર્જરિત હાલત, કર્મચારીઓને મકાન ખાલી કરવા નોટિસ

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી વસાહતો આવેલી છે. જેમાં ઘણી વસાહતો વર્ષો પહેલા બંધાયેલી હોવાથી જર્જરિત બની ગઈ છે. એટલે કે, સરકારી મકાનોની આયુષ્ય પુરુ થઇ ગયુ છે. જેને લઇને માર્ગ અને મકાન વિભાગ દ્વારા મકાનોમાં ભયજનકના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. સાથે સાથે મકાનમાં રહેતા કર્મચારીને મકાન ખાલી કરવા નોટિસો પણ પાઠવી દેવામાં આવી છે. વરસાદની સિઝન ચાલી રહી છે, ત્યારે રોજબરોજ સિલીંગમાંથી પોપડા પડતા કર્મચારી અને તેમનો પરિવાર ભયના ઓથાર હેઠળ નિવાસ કરી રહ્યા છે. સરકાર દ્વારા કર્મચારીઓને નોટિસો પાઠવીને મકાનો ખાલી કરી દેવા કહેવામાં આવ્યું છે. પણ અન્ય સ્થળોએ ક્વાટર્સની ફાળવણી ન કરાતા કર્મચારીઓ મકાનો ખાલી કરતા નથી.

ગાંધીનગર શહેરના સેક્ટર 30 ખાતે આશરે 20 જેટલા પરિવાર સરકારી મકાનમાં વસવાટ કરી રહ્યા છે. જેમાં છ ટાઇપના મકાનને માર્ગ અને મકાન વિભાગ દ્વારા જર્જરીત જાહેર કરી દેવામાં આવ્યા છે અને મકાનમાં ભયજનક મકાન બતાવતુ બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. બીજી બાજુ શહેરમાં વરસાદ પણ ધોધમાર વરસી રહ્યો છે, પરિણામે મકાનમાં રોજબરોજ પોપડા પડવાના બનાવો બની રહ્યા છે. છ ટાઇપના મકાનનમાં બે દિવસ પહેલા બાથરુમમાં મોટો પોપડો પડ્યો હતો. પાટનગર યોજના વિભાગ દ્વારા ક્યારે અન્ય જગ્યાએ મકાન ફાળવી આપે તેની રાહ જોઇને ભયના ઓથાર હેઠળ કર્મચારીઓનો નિવાસ કરી રહ્યા છે. કર્મચારીઓ દ્વારા મકાન અન્ય જગ્યાએ ફાળવી આપવા અનેક લેખિત રજૂઆત કરવામાં આવી છે, છતા પાટનગર યોજના વિભાગના અધિકારીઓના પેટનુ પાણી હલતુ નથી. બીજી તરફ સેક્ટર 21 ખાતે છ ટાઇપના મકાનો ખાલી પડી રહ્યા છે, રીનોવેશન કરાયેલા મકાનોમાં ઉધઇ ચડવા લાગી છે, તેમ છતા તે મકાનો ફાળવવામાં આવતા નથી. કર્મચારીઓમાં જ આવા અધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. (FILE PHOTO)