Site icon Revoi.in

તમે પણ ગટગટાવીને પાણી પીવો છો? બદલો આ આદત, જાણો ઘૂંટડે-ઘૂંટડે પાણી પીવાના આશ્ચર્યજનક ફાયદા

Social Share

પાણી પીવું એ આપણા રોજિંદા જીવનની સાવ સામાન્ય અને સહજ પ્રક્રિયા છે, પરંતુ તમે કઈ રીતે પાણી પીવો છો તેની સીધી અને ઊંડી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. આજના ભાગદોડભર્યા જીવનમાં મોટાભાગના લોકો એક જ શ્વાસે ગટગટાવીને આખું ગ્લાસ પાણી પી જતાં હોય છે. જો કે, આરોગ્ય નિષ્ણાતોના મતે આ પદ્ધતિ તદ્દન ખોટી છે. પાણી હંમેશા શાંતિથી, બેસીને અને ઘૂંટડે-ઘૂંટડે (સિપ-સિપ કરીને) પીવું જોઈએ. ધીમે-ધીમે પાણી પીવાથી ન માત્ર પાચનક્રિયા સુધરે છે, પરંતુ પેટ પર વધારાનું દબાણ પણ આવતું નથી.

આપણા શરીરમાં પાચનની શરૂઆત પેટથી નહીં, પણ મોંમાંથી જ થઈ જાય છે. જ્યારે આપણે ઘૂંટડે-ઘૂંટડે પાણી પીએ છીએ, ત્યારે તે આપણા મોંમાં રહેલી લાળ સાથે ભળે છે. મોંની લાળ ક્ષારીય હોય છે, જે પેટના એસિડિક વાતાવરણને સંતુલિત કરવાનું કામ કરે છે. લાળયુક્ત પાણી જ્યારે ધીમે-ધીમે પેટમાં જાય છે, ત્યારે પાચનતંત્ર ખોરાકને પચાવવા માટે અગાઉથી તૈયાર થઈ જાય છે, જેનાથી એસિડિટીની સમસ્યા થતી નથી.

જ્યારે કોઈ વ્યક્તિ એક જ વારમાં ખૂબ વધારે માત્રામાં પાણી પી લે છે, ત્યારે શરીરના અંગો પર અચાનક લોડ વધી જાય છે અને પાચનની કુદરતી લય બગડે છે. હેલ્થ રિપોર્ટ્સ અનુસાર, આપણું શરીર પાણીને ત્યારે જ શ્રેષ્ઠ રીતે ઉપયોગમાં લઈ શકે છે જ્યારે તેને ધીમે-ધીમે ગ્રહણ કરવામાં આવે. તબીબોના જણાવ્યા અનુસાર, “ધીમે-ધીમે પાણી પીવાથી તે શરીરમાં બરાબર ઓગળે છે અને પાચન ઉત્સેચકોને મદદ કરે છે. તેની સરખામણીએ જો ખૂબ ઝડપથી પાણી પીવામાં આવે, તો કિડની પર ફિલ્ટરેશનનું દબાણ વધે છે અને થોડા સમય માટે પેટમાં ભારેપણું, અફારો અથવા અસહજતા મહેસૂસ થઈ શકે છે.”

ઘૂંટડે-ઘૂંટડે પાણી પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી શરીરનું આંતરિક સંતુલન જળવાઈ રહે છે. પેટને એકસાથે પાણીનો મોટો જથ્થો ન મળવાના કારણે પાચક રસો મંદ પડતા નથી અને પોતાનું કામ યોગ્ય રીતે કરતા રહે છે. આ આદતથી જૂની કબજિયાત જેવી તકલીફોમાં પણ રાહત મળે છે અને આખો દિવસ બોડી હાઇડ્રેટ રહે છે. જો કે, અતિશય ગરમીમાં લાંબા સમય સુધી તડકામાં રહ્યા બાદ અથવા ભારે કસરત (વર્કઆઉટ) કર્યા પછી તરત જ ઉતાવળે પાણી પીવું પડે તેવી સ્થિતિ સર્જાય છે, પરંતુ તેને રોજિંદી આદત બનાવવી નુકસાનકારક છે. ખાસ કરીને જમતી વખતે વધારે પાણી પીવાથી જઠરાગ્નિ શાંત થઈ જાય છે અને ખોરાક પચવાને બદલે સડવા લાગે છે.

પાણી પીવાની રીત જેટલી મહત્વની છે, તેટલો જ તેનો સમય પણ અગત્યનો છે. તંદુરસ્ત રહેવા માટે આ નિયમો અપનાવો:

* આખો દિવસ થોડા-થોડા અંતરે એક-એક ગ્લાસ પાણી પીતા રહો.
* જમતી વખતે જો જરૂર જણાય તો માત્ર એક-બે ઘૂંટડા પાણી લો, જમવાના અડધા કલાક પહેલા અથવા અડધા કલાક પછી જ પેટ ભરીને પાણી પીવો.
* સવારે ઉઠીને નરણા કોઠે (નવાયું) પાણી પીવાની આદત ઉત્તમ માનવામાં આવે છે.

પાણી પીવાની શૈલીમાં આ નાનકડો બદલાવ ભલે દેખાવમાં સામાન્ય લાગે, પણ લાંબાગાળે તેનું પરિણામ ખૂબ મોટું અને સકારાત્મક હોય છે. તે તમારા શરીરને હળવું, સ્ફૂર્તિલું અને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

 

Exit mobile version