Site icon Revoi.in

વારંવાર થતા માથાના દુખાવાને નજરઅંદાજ ન કરો: આ હોઈ શકે છે ગંભીર સંકેત

Social Share

આજની ભાગદોડભરી જિંદગીમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણીવાર આપણે કામનું દબાણ, વધુ પડતો સ્ક્રીન ટાઈમ અથવા અધૂરી ઊંઘને કારણે થતા દુખાવાને પેનકિલર લઈને દબાવી દઈએ છીએ. પરંતુ જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય, તો સાવધાન થઈ જવાની જરૂર છે. ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ એન્ડ સ્ટ્રોક’ના અહેવાલ મુજબ, માથાનો દુખાવો એ માત્ર શારીરિક તકલીફ નથી, પરંતુ શરીરની અંદર ચાલી રહેલી કોઈ ઉણપ કે સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે.

આજના સમયમાં તણાવ એ સૌથી મોટું કારણ છે. કામનું ભારણ કે ચિંતાને કારણે ગરદન, ખભા અને જડબાના સ્નાયુઓ અકડાઈ જાય છે, જે ધીમે ધીમે માથાના દુખાવામાં ફેરવાય છે. આવો દુખાવો માથાની આસપાસ દબાણ કે ભારેપણું અનુભવે છે.

ઘણા લોકો દિવસભર પૂરતું પાણી પીવાને બદલે ચા-કોફી પર નિર્ભર રહે છે. જ્યારે શરીરમાં પાણીનું સ્તર ઘટે છે, ત્યારે તેની સીધી અસર મગજ પર થાય છે, જેનાથી બપોરના સમયે માથું ભારે લાગવા માંડે છે અને સુસ્તી અનુભવાય છે.

મોબાઈલ, લેપટોપ કે ટીવીનો સતત ઉપયોગ આંખો પર ભારે દબાણ લાવે છે. જો સ્ક્રીનથી દૂર રહેતા કે આંખો બંધ રાખતા દુખાવામાં રાહત મળે, તો સમજી લેવું કે તમારી આંખોને આરામની સખત જરૂર છે.

માત્ર કેટલા કલાક ઊંઘ્યા તે મહત્વનું નથી, પરંતુ ઊંઘની ગુણવત્તા પણ એટલી જ જરૂરી છે. મોડે સુધી મોબાઈલ જોવો કે રાત્રે વારંવાર જાગી જવાથી સવારે ઉઠતાની સાથે જ માથું ભારે લાગે છે.

સમયસર જમવાનું ટાળવું કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી બ્લડ શુગર લેવલ ઘટી જાય છે. આ સ્થિતિમાં માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર જેવી સમસ્યાઓ સર્જાય છે.

મોટાભાગના કિસ્સામાં માથાનો દુખાવો જીવલેણ હોતો નથી, પરંતુ જો દુખાવો અસહ્ય બની જાય અને વારંવાર થતો હોય, દવાની કોઈ અસર ન થતી હોય અને દુખાવાની સાથે દ્રષ્ટિમાં ધૂંધળાપણું કે બોલવામાં તકલીફ પડે તો તબીબનો સંપર્ક કરવો જોઈએ.

રાહત મેળવવા માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછુ 8થી 10 ગ્લાસ પાણી પીવુ જોઈએ, દર 20 મિનિટે સ્ક્રીન પરથી નજર હટાવીને આંખોને આરામ આપવો જોઈએ. ઉંઘવા અને જમવાનો ચોક્કસ સમય નક્કી કરવો જોઈએ. તેમજ તણાવ મુક્ત રહેવા માટે રોજ 15થી 20 મિનિટ ધ્યાન કે પ્રાણાયમ કરવુ જોઈએ. આમ તમારી જીવનશૈલીમાં નાના ફેરફારો કરીને તમે માથાના દુખાવાની આ ગંભીર સમસ્યાથી કાયમી છુટકારો મેળવી શકો છો.

Exit mobile version