નવી દિલ્હી, 25 માર્ચ, 2026: notice to Congress to vacate office રાજધાની નવી દિલ્હીમાં કોંગ્રેસને તેના 24 અકબર રોડ સ્થિત જૂના વડામથકની ઑફિસ ખાલી કરવા માટેની નોટિસ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એસ્ટેટ વિભાગે કોંગ્રેસ પાર્ટીને 28 માર્ચ સુધીમાં આ પરિસર ખાલી કરવા જણાવ્યું છે.
48 વર્ષ સુધી રહ્યું કોંગ્રેસનું મુખ્યાલય
છેલ્લા 48 વર્ષથી 24 અકબર રોડ એ કોંગ્રેસનું કેન્દ્રીય મુખ્યાલય રહ્યું છે. જોકે, ગયા વર્ષે પાર્ટીએ પોતાનું નવું મુખ્યાલય ઇન્દિરા ભવનમાં સ્થાનાંતરિત કરી દીધું હતું. તેમ છતાં જૂની ઓફિસમાં પાર્ટીની પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે.
કોંગ્રેસ નેતાઓએ કહ્યું- આ લોકતાંત્રિક સરકાર નથી
નોટિસને લઈને કોંગ્રેસ નેતાઓએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે, “આ લોકતાંત્રિક સરકાર નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરીશું.”
બીજી તરફ, કોંગ્રેસ સાંસદ ઈમરાન મસુદે કહ્યું કે, “સરકારને લાગે છે કે દબાણ લાવીને કોંગ્રેસનો અવાજ દબાવી શકાય છે. તેમણે અમને ડરાવવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. શું તેમણે ભાજપના કાર્યાલય 11 અશોક રોડ અથવા પંત માર્ગના કિસ્સામાં પણ આવું કર્યું છે?” તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર અન્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
કાનૂની વિકલ્પો પર થઈ શકે છે વિચાર
નોટિસ મળ્યા બાદ કોંગ્રેસ આ મામલે કાનૂની વિકલ્પો પર વિચાર કરી શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ નેતાઓ સાથેની ચર્ચા બાદ આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. આ મામલે લેવામાં આવનારા કોઈપણ નિર્ણયમાં રાજકીય ગરિમા અને પ્રક્રિયાનું પાલન કરવું વાજબી રહેશે.

