Site icon Revoi.in

પોરબંદરની કન્યા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું અમદાવાદમાં સ્નેહમિલન યોજાયું

Social Share

અમદાવાદઃ પોરબંદરની જાણીતી કન્યા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું અમદાવાદમાં સ્નેહમિલન યોજાયું હતું. જેમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાટ કરતી શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી. વર્ષો બાદ પોતાની સખીઓને જોઈને વિદ્યાર્થિનીઓના આંખોમાં હરકના આંસુ આવી ગયા હતા.

પોરબંદરમાં આવેલી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયની અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ પરિવાર સાથે અમદાવાદ શહેરમાં વસવાટ કરે છે. જેથી અમદાવાદમાં વસવાટ કરતી સ્કૂલની તમામ વિદ્યાર્થિનીઓને એક છત નીચે એકત્ર કરવાના વિચાર સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થિની અલ્પા જોશી અને ફાલ્ગુની પુરોહિતે સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. જે માટે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનો સંપર્ક કરીને તેમણે સ્નેહમિલનની વાત કરી હતી. અંતે તમામ વિદ્યાર્થિનીઓએ તૈયારીઓ દર્શાવી હતી. જેથી તાજેતરમાં જ અમદાવાદમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ઉંમરની પૂર્વ વિદ્યાર્થિનીઓ જોડાઈ હતી. એટલું જ નહીં વર્ષો બાદ બહેનપણીઓને મળવાની ખુશી તેમના ચહેરા ઉપર જોવા મળતી હતી. તમામ મહિલાઓએ સ્કૂલના દિવસોની યાદો તાજી કરી હતી એટલું જ નહીં રાસ-ગરબા અને વિવિધ રમતો રમીને દિવસને યાદગાર બનાવ્યો હતો. તમામ મહિલાઓએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ફરીથી મળવાનું અને સંપર્કમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.