Site icon Revoi.in

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નવા પાણીની વ્યાપક આવક, નર્મદા ડેમની સપાટી 128.51 મીટરે પહોંચી

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. રાજકોટનો આજી-1 ડેમ, ધોરાજીનો ભાદર-2 અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવા આવી છે. બીજી તરફ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળ સપાટી 128.51 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીથી 10 મીટર જ દૂર છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. ગણતરીના કલાકોમાં જ જળસપાટીમાં 36 સેમીનો નોંધપાત્ર વધારો થયો છે હાલ ડેમની જળસપાટી 128.51 મીટર ઉપર પહોંચી છે.

રાજકોટમાં સતત વરસાદને પગલે જસદણમાં આવેલા કરણુકી ડેમમાં પણ નવા નીર આવતા ડેમના 11 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપલેટા તાલુકાનો વેણુ ડેમ ઓવરફ્લો થતા  ડેમના ત્રણ દરવાજા દોઢ ફુટ સુધી ખોલાતા વેણુ નદીમાં કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ ગોંડલમાં આવેલો મોતીસર ડેમ છલકાતા પાટીયાળી, હડમતળાળા, કોલીથડ સહિતના ગામો એલર્ટ કરાયા છે. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છલકાતાં 59 દરવાજા બે ફુટ સુધીને ખોલીને નદીમાં પાણી છોડવામાં આવતા 17 જેટલા ગામ એલર્ટ કરયાં છે. જૂનાગઢનો ઓઝત વિયર શાપુર ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન વલસાડનો મધુબન ડેમ પણ ઓવરફ્લો થવાથી દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમની જળસપાટી હાલ 71.25 ફૂટ પર પહોંચી છે. તો નવસારીના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. કેલિયા ડેમ 0.05 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમ છલકાતા નિચાણવાળા 23 ગામોને એલર્ટ કરાયા છે.