Site icon Revoi.in

પાકિસ્તાનમાં પ્રથમવાર ચીની નાગરિક સામે ઈશનિંદાનો કેસ નોંધી પોલીસે ધરપકડ કરી

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી કોમના લોકો ઉપર અવાર-નવાર ઈશનિંદાના કેસ નોંધાય છે, જો કે, હવે પ્રથમવાર ચીનના નાગરિક સામે પાકિસ્તાનમાં ઈશનિંદાનો કેસ નોંધાયો છે. અગાઉ ધાર્મિક લાગણી દુભાવવા મામલે કટ્ટરપંથી ટોળાએ શ્રીલંકાના નાગરિકની પાકિસ્તાનમાં હત્યા કરીને લાશને સળગાવી દીધી હતી. હવે ચીનના એક ઉચ્ચ નાગરિક સામે ઈશનિંદાનો કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ મામલે ચીન અને પાકિસ્તાન વચ્ચે રાજકીય વિવાદ ઉભો થવાની શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપમાં એક ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, ‘અલ્લાહ’નું અપમાન કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તે ચીનની એક કંપનીનો કર્મચારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ધરપકડ પાકિસ્તાન અને ચીન વચ્ચે રાજકીય વિવાદનું કારણ પણ બની શકે છે. ચીનનો નાગરિક એન્જિનિયર છે. ઈસ્લામાબાદથી લગભગ 350 કિમી દૂર તે હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરે છે. રમઝાન દરમિયાન, મજૂરો લાંબા સમય સુધી વિરામ લેવા માંગતા હતા અને તેમની કામ કરવાની ઝડપ પણ ઓછી હતી. આ બાબતે મજૂરો અને ચીની નાગરિકો વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી વધી જતાં મારામારી શરૂ થઈ હતી.

એવું કહેવામાં આવ્યું હતું કે એન્જિનિયરે અલ્લાહ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ પછી લોકો તેને મારવા આવ્યા હતા. આ પછી ભીડનો ગુસ્સો જોઈને કંપનીના એક કર્મચારીએ પોલીસને બોલાવી હતી. પોલીસે આવીને ચીની નાગરિકને કસ્ટડીમાં લીધો હતો. તેને ખૈબર પખ્તુનખ્વાના કોહિસ્તાનના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. હવે તેની સામે ઈશનિંદાનો કેસ નોંધવામાં આવ્યો છે, જેના સંદર્ભમાં આદિજાતિ પરિષદની બેઠક બોલાવવામાં આવશે. હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીન આ ઘટનાને સહન નહીં કરે અને તેનાથી પાકિસ્તાન સાથે રાજકીય વિવાદ થઈ શકે છે. પાકિસ્તાનનું કહેવું છે કે, નાગરિકની સુરક્ષા માટે તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ વિદેશી વિરુદ્ધ ઈશનિંદાનો કેસ નોંધાયો હોય. આ પહેલા 2021માં શ્રીલંકાના એક નાગરિકને માર મારવામાં આવ્યો હતો. કામદારોના ટોળા દ્વારા મૃતદેહને સળગાવવામાં આવ્યો હતો મુદ્દો એ હતો કે સફાઈ દરમિયાન કામદારોને ધાર્મિક સ્ટીકર દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું. જો તેણે તેને હટાવ્યું નહીં તો શ્રીલંકાના નાગરિકે તેને જાતે જ હટાવી દીધું. આ પછી કામદારોએ તેને માર મારીને તેની હત્યા કરી હતી.

Exit mobile version