Site icon Revoi.in

વિદેશી ઉદ્યોગકારો રોકાણકારો ભારત સાથે આર્થિક સંબંધો સ્થાપવા ઉત્સુકઃ ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ શહેરમાં ગુજરાત વિદ્યાસભાના 175 મા વિદ્યાજ્ઞાન પર્વને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પંચ-પ્રણ પૈકી એક વારસાનું જતન ગુજરાત વિદ્યાસભા કરી રહી છે. ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટે ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સરકાર સહભાગી બનવા તૈયાર છે, તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી. ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવાની સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં પ્રાથમિકતા આપવા માટે ધો. 1થી 8માં ગુજરાતી શિક્ષણ ફરજીયાત બનાવ્યું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, ભારતમાં સ્થિર અને સક્ષમ નેતૃત્વને કારણે આજે માત્ર દેશના જ નહિ દુનિયાભરના લોકોમાં ભારત પરનો વિશ્વાસ વધી રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતને પગલે કરેલા વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે વિદેશી ઉદ્યોગકારો રોકાણકારો ભારત સાથે આર્થિક સંબંધો સ્થાપવા ઉત્સુક છે. અને રોકાણ માટે ભારતમાં પણ ગુજરાત પહેલી પસંદ છે, એમ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, 1848માં એલેક્ઝાન્ડર કીન્લોક ફોર્બ્સ અને કવિશ્રી દલપતરામ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. જે પછીથી ગુજરાત વિદ્યાસભા તરીકે વિખ્યાત બની. જેના પ્રારંભથી લઈને વર્તમાન સુધીની યાત્રાના દસ્તાવરજીકરણને દર્શાવતી પુસ્તિકા ગુજરાત વિદ્યાસભાની અવિરત યાત્રાનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.