અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2026: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા શુક્રવાર, ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ GCCI ખાતે “ભારતમાં ફેમિલી ઓફિસની રચના અને વેલ્થ મેનેજમેન્ટ સોલ્યુશન્સ” વિષય પર એક અત્યંત માહિતીપ્રદ અને વિચારપ્રેરક સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં GCCIના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે ભારતીય વ્યાપારી પરિવારો માટે વ્યવસ્થિત વેલ્થ મેનેજમેન્ટ (સંપત્તિ વ્યવસ્થાપન) અને મજબૂત ગવર્નન્સ માળખાની વધતી જતી પ્રસ્તુતતા પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચોઃ જીસીસીઆઈમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી પૉલિસી વિષય પર સેમિનાર યોજાયો
તેમણે અવલોકન કર્યું કે ઝડપી આર્થિક પરિવર્તન, વધતા વૈશ્વિક એક્સપોઝર અને વિવિધ રોકાણની તકો વચ્ચે ‘ફેમિલી ઓફિસ’ એ હવે માત્ર લક્ઝરી નહીં પણ વ્યૂહાત્મક જરૂરિયાત બની ગઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વ્યાવસાયિક રીતે સંચાલિત ફેમિલી ઓફિસ માત્ર પેઢી દર પેઢીની સંપત્તિનું રક્ષણ અને વૃદ્ધિ જ નથી કરતી, પરંતુ ઉત્તરાધિકાર આયોજન (Succession Planning) ને પણ મજબૂત બનાવે છે અને પરિવારના મૂલ્યોને લાંબા ગાળાના નાણાકીય ઉદ્દેશ્યો સાથે જોડે છે.
આ સત્ર દરમિયાન GCCIના માનદ ખજાનચી ગૌરાંગ ભગત પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ એજ્યુકેશન કમિટીના ચેરપર્સન ડો. રાજુલ કે. ગજ્જરે મુખ્ય વિષય ઉપર વાત કરતાં સત્રના ઉદ્દેશ્યોની રૂપરેખા આપી હતી અને ભારતમાં ફેમિલી ઓફિસની સ્થાપના કરતી વખતે કાનૂની, નાણાકીય અને શાસન પાસાઓને સમજવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
આ પણ વાંચોઃ જીસીસીઆઇ દ્વારા ઐતિહાસિક ભારત-યુએસ વેપાર કરારનું સ્વાગત
મુખ્ય વક્તા તરીકે ઇટન સોલ્યુશન્સ (ETON Solutions) ના ચીફ બિઝનેસ ઓફિસર અને ગિફ્ટ સિટીના IFSC વિભાગના પૂર્વ વડા સંદીપ શાહ તથા રાવલ એન્ડ ત્રિવેદી એસોસિએટ્સના સ્થાપક અને ભાગીદાર સુશ્રી નમ્રતા ત્રિવેદીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
વક્તાઓએ ભારતમાં ફેમિલી ઓફિસના વિકસતા ખ્યાલ અને વ્યવસ્થિત વેલ્થ મેનેજમેન્ટની જરૂરિયાત વિશે વિગતવાર સમજૂતી આપી હતી. તેમણે ફેમિલી ઓફિસના વિવિધ મોડલ્સ, રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ, ટેક્સ પ્લાનિંગ અને સંપત્તિના માળખા માટે વૈશ્વિક નાણાકીય હબ તરીકે ગિફ્ટ સિટી (GIFT IFSC) ના વધતા મહત્ત્વ વિશે છણાવટ કરી હતી.
આ પણ વાંચોઃ જુઓ VIDEO: CM ભૂપેન્દ્ર દાદાએ બનાસકાંઠાની દીકરીને આપેલું વચન પાળ્યું
સત્રના અંતે પ્રશ્નોત્તરી (Q&A) યોજાઈ હતી, જેમાં સહભાગીઓએ વક્તાઓ સાથે સક્રિયપણે સંવાદ કરી સંપત્તિના વ્યવસ્થાપન અને કાયદાકીય પાસાઓ પર પોતાની મૂંઝવણો દૂર કરી હતી. કાર્યક્રમનું સમાપન એજ્યુકેશન કમિટીના સભ્ય ડો. કેયુર દરજીના આભારવિધિ સાથે થયું હતું, જેમાં તેમણે વક્તાઓ અને સભ્યોનો આભાર માન્યો હતો.

