Site icon Revoi.in

GoFirst એ હવે 12 મે સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી,ટૂંક સમયમાં મુસાફરોને રિફંડ આપશે

Social Share

દિલ્હી : આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન ગો ફર્સ્ટે 12 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. કંપનીએ શુક્રવારે આ જાણકારી આપી. વાડિયા ગ્રૂપની એવિએશન કંપનીએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશન અરજી દાખલ કરી હતી. ગુરુવારે સુનાવણી દરમિયાન ટ્રિબ્યુનલે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

એરલાઈને ટ્વિટર પર લખ્યું છે કે, “ઓપરેશનલ કારણોને લીધે, 12 મે, 2023 સુધી નિર્ધારિત તમામ GoFirst ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.” નિવેદનમાં જણાવાયું છે કે,”ટિકિટ બુક કરાવનારા મુસાફરોને ટૂંક સમયમાં સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે.” એરલાઇન્સે 3 મેથી ત્રણ દિવસ માટે તેની ફ્લાઇટ્સ રદ કરી હતી. બાદમાં આ સમય 9 મે સુધી લંબાવવામાં આવ્યો હતો અને હવે ફ્લાઈટ્સ 12 મે સુધી રદ કરવામાં આવી છે.

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ ગુરુવારે જણાવ્યું હતું કે એરલાઈને 15 મે સુધી ટિકિટનું વેચાણ સ્થગિત કરી દીધું છે. DGCA એ એરલાઇનને નિયમો અનુસાર મુસાફરોના પૈસા પરત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.