Site icon Revoi.in

ગુજરાતઃ જળસંચય અભિયાન હેઠળ 104 દિવસના અંતે 23 હજારથી વધુ કામો પૂર્ણ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં 17 ફેબ્રાઆરીથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું છઠ્ઠુ ચરણ આજે 31 મે ના રોજ પૂર્ણ થયું છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. આ અભિયાનમાં કુલ 24,153 કામોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 104 દિવસના અંતે તા. 31 મી મે સુધીમાં 23,860 કાર્યો પૂર્ણ થયા છે. 104 દિવસના આ મહાઅભિયાન કુલ 12,70,000 જેટલા માનવદિનની રોજગારી મળી છે. રાજ્ય સરકાર અને સેવાકીય સંસ્થાઓની સહભાગીદારિતા હેઠળની ચેકડેમ રીપેરીંગ 80:20ની યોજના હેઠળ કુલ 161 ચેકડેમના કામો પ્રગતિ હેઠળ છે જે પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.

તેમણે વધુમાં કહ્યું કે, 31 મે પછી નવા કોઇપણ ચેકડેમ રીપેરીંગના કામો શરૂ કરવામાં આવશે નહીં. રાજ્યના નર્મદા યોજના સિવાયના મહત્વના 206 જળાશયોમાં તા. 26મી મે સુધીમાં આશરે 2 લાખ મિલીયન ઘનફુટ ઉપરાંત જથ્થો સંગ્રહિત થયો છે. જે પૈકી પીવાના પાણીનો વપરાશ ધરાવતા 73 જળાશયોમાં 31 મી મે સુધીમાં 10,500 મિલીયન ઘનફુટ પાણીનો જથ્થો આરક્ષીત રાખ્યા બાદ જળાશયનું વધારાનું પાણી ખેડૂતોની માંગણી આધારીત પ્રિ-ખરીફ સિંચાઇ માટે આપવામાં આવશે.

અગાઉના પાંચ તબક્કામાં રાજયભરમાં  જળસંગ્રહ માટેના 74510 કામો પૂર્ણ થયા છે. જેનાથી જળ સંગ્રહ ક્ષમતામાં 86199 લાખ ઘનફુટ વધારો થયો હતો અને રાજ્યના 33 જિલ્લાઓમાં 26981 તળાવો ઉંડા કરવામાં આવ્યા હતા.

મંત્રીએ કહ્યું હતુ કે, રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.

(PHOTO-FILE)