Site icon Revoi.in

ગુજરાતઃ 20 વર્ષથી રોજગારી આપવામાં દેશનું નંબર-1 રાજ્યનો સરકારનો દાવો

Social Share

અમદાવાદઃ રાજ્યના શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં રોજગારી પૂરી પાડવા માટે ગુજરાત છેલ્લા 20 વર્ષથી નંબર-1 છે. વલસાડ જિલ્લામાં રોજગારી અંગેના પ્રશ્નમાં તેમણે માહિતી આપતા કહ્યું કે, વલસાડ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 16,246 રોજગાર વાંચ્છુકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. તાજેતરમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી ખાતેથી પી.એમ. મિત્ર ટેક્ષટાઈલ પાર્કનું ભૂમિપૂજન કરાયું છે. જેના પરિણામે આગામી સમયમાં વધુ રોજગારી પ્રાપ્ત થશે. વલસાડ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રોજગાર કચેરી દ્વારા એનર્જી પાર્ક ઉત્પાદન, રેડીમેડ ગારમેન્ટસ, પ્લાસ્ટિક, રબર ઉદ્યોગ અને રસાયણ ક્ષેત્રે રોજગાર વાંચ્છુકોને રોજગારી અપાઈ છે.

વિધાનસભા ખાતે મહેસાણા જિલ્લામાં MSME એકમોને વ્યાજ સહાયના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજ્યના લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં 318 MSME એકમોને રૂ.14.14 કરોડની વ્યાજ સહાય ચૂકવાઇ છે. 

રાજ્યમાં મહેસાણા, અમરેલી અને અંકલેશ્વર ખાતે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે. નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનો પાયલોટ બનીને રોજગારી મેળવી શકે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે આગામી સમયમાં મહેસાણા, અમરેલી અને અંકલેશ્વર ખાતે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. વિધાનસભા ખાતે રાજ્યમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર હસ્તકની હવાઈપટ્ટીઓ ખાતે ટેન્ડર પદ્ધતિથી 1500 ચો.મી જગ્યા ફાળવવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં 274 વિદ્યાર્થીઓ દ્વારા મહેસાણા પટ્ટી ખાતે તાલીમ મેળવી છે જે પૈકી 127 વિદ્યાર્થીઓને પાયલોટ માટેનું કોમર્શિયલ લાઇસન્સ પર મેળવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.