Site icon Revoi.in

ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોમાં CBSEના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે 31મી સુધી રજિસ્ટ્રેશન

Social Share

અમદાવાદઃ ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ સેન્ટ્રલ બોર્ડનું પરિણામ ખૂબ વિલંબથી જાહેર થયુ હતું.  ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોમર્સ,બીબીએ-બીસીએ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓની 10 ટકા બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી 31મી જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે, ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓ પણ આ રાઉન્ડમાં ભાગ લઇ શકશે તેવી સ્પષ્ટતાં સમિતિ દ્વારા કરવામાં આવી છે. યુનિવર્સિટી સાથેની કોમર્સ સહિતના પાંચ કોર્સની કોલેજોમા અંદાજે 40 હજાર બેઠકો ઉપલબ્ધ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે સેન્ટ્રલ બોર્ડ યાને સીબીએસસી બોર્ડના ધોરણ 12 ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે 31મી જુલાઈ સુધી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. 10 ટકા પ્રમાણે અંદાજે 4 હજાર બેઠકો સેન્ટ્રલ બોર્ડ સહિતના અધર બોર્ડના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે. તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ હવે આ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ આગામી 31મી જુલાઇ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. સામાન્ય રીતે સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓને બે કે ત્રણ દિવસની મુદત આપવામાં આવે છે પરંતુ પ્રવેશ સમિતિ દ્વારા એક સપ્તાહની મુદત આપવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને 26મીથી 1લી ઓગસ્ટ સુધી જે તે કોલેજમાં જઇને પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે. પ્રવેશ સમિતિ દ્વારા 4 ઓગસ્ટના રોજ પ્રોવિઝનલ મેરિટલીસ્ટ જાહેર કરવામાં આવશે. આ મેરિટમાં કોઇ ભુલ હોય તો 5 અને 6 ઓગસ્ટ દરમિયાન સુધારી શકાશે. 8મી ઓગસ્ટના રોજ મેરિટના આધારે કોલેજની ફાળવણી કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ 8થી 10 ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. 9મીથી 12મી સુધી જે તે કોલેજમાં જઇને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. આ રાઉન્ડ માત્ર સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહ્યો છે પરંતુ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ કે જેઓ ચાલુ વર્ષે જ પાસ થયા હોય પરંતુ કોઇ કારણોસર પહેલા બે રાઉન્ડમાં ભાગ લઇ શકયા નથી, અથવા તો રજિસ્ટ્રેશન કરાવ્યા પછી આગળની પ્રક્રિયામાં ભાગ લીધો નથી તેવા વિદ્યાર્થીઓ પણ ઇચ્છે તો ભાગ લઇ શકશે.