Site icon Revoi.in

ગુજરાતમાં 6ઠ્ઠી ઓગસ્ટે ગુજકેટ લેવાશે, 1.17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે આ વર્ષે ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હાલ ઈજનેરી અને વિજ્ઞાન પ્રવાહની કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ડિગ્રી એન્જિનિરિંગ અને ડિપ્લોમા ફાર્મસી સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા મહત્વની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 6 ઓગસ્ટે લેવાનારી ગુજકેટની પરીક્ષા માટે એક્શન પ્લાન જાહેર કરી દેવાયો છે. આ પરીક્ષા રાજ્યના 34 જિલ્લા કેન્દ્રોની 574 સ્કૂલોમાં 1.17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે લેવાનારી પરીક્ષામાં ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડના 10,860 વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપશે. બોર્ડે પરીક્ષાના સમય અંગેની માહિતી પણ સ્થળ સંચાલકોને આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજકેટની પરીક્ષા અલગ અલગ 34 કેન્દ્રો પર લેવાશે, જેમાં એ ગ્રૂપના 47,766, બી ગ્રૂપના 69,153 અને એ-બી ગ્રૂપના 397 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજકેટની પરીક્ષા માટે 70554 વિદ્યાર્થીઓ અને 46762 વિદ્યાર્થિનીઓએ પરીક્ષાનાં ફોર્મ ભર્યાં હતાં. માધ્યમ પ્રમાણે 80670 વિદ્યાર્થીઓ ગુજરાતી, 35571 હિન્દી અને 1075 વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમથી પરીક્ષા આપશે. માસ પ્રમોશન બાદ ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીનું યોગ્ય મૂલ્યાંકન ગુજકેટની પરીક્ષાથી જ થશે, તેથી વાલીની સાથે બોર્ડ અધિકારીઓની નજર પણ ગુજકેટની પરીક્ષા અને પરિણામ પર રહેશે.