મીઠાઈ ખાવાના શોખીન લોકો માટે બજારમાં મળતી સ્વીટ્સમાં ખાંડ અને ફેટનું પ્રમાણ ચિંતાનો વિષય બનતું હોય છે. આવા સમયે જો ઘરે જ ઓછી ખાંડ અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર સ્વીટ ડીશ બનાવવામાં આવે, તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને સચવાય છે. નાળિયેરમાંથી બનેલી વાનગીઓ આ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે નાળિયેરમાં ફાઈબર, હેલ્થી ફેટ, મેંગેનીઝ, કોપર, આયર્ન અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો રહેલા છે.
અહીં જાણો નાળિયેરથી મિનિટોમાં બની જતી 4 હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગીઓ વિશે:
નાળિયેરના લાડુ
એક પેનમાં છીણેલું તાજું નાળિયેર અને થોડો ગોળ અથવા કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને ધીમા તાપે પકાવો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એલચી પાવડર ઉમેરીને નાના-નાના લાડુ વાળી લો. આ લાડુ શરીરને તુરંત એનર્જી અને ફાઈબર આપે છે.
નાળિયેરની ખીર
દૂધને બરાબર ઉકાળીને તેમાં છીણેલું નાળિયેર ઉમેરો. તેને થોડી મિનિટો પકવ્યા બાદ સ્વાદાનુસાર ગોળ અથવા સાકર અને એલચી પાવડર ઉમેરો. ઉપરથી કાજુ-બદામના ટુકડા ઉમેરીને ગરમાગરમ કે ઠંડી ખીર પીરસો.
નાળિયેરની બર્ફી
છીણેલા નાળિયેરમાં દૂધ અને ગોળ/સાકર ઉમેરીને ધીમા તાપે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ ઘી લગાવેલી પ્લેટમાં મિશ્રણને પાથરી દો. ઠંડુ થયા પછી મનપસંદ આકારમાં કાપી લો.
નાળિયેર-ખજૂર રોલ (શુગર-ફ્રી)
મિક્સરમાં ઠળિયા વગરના ખજૂર અને છીણેલું નાળિયેર પીસી લો. આ મિશ્રણના રોલ બનાવી ઉપરથી સુકા નાળિયેરનું છીણ લપેટી લો. વગર ખાંડે બનતી આ સ્વીટ ડીશ નેચરલ સ્વીટનર અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે.
મહત્વની ટીપ: નાળિયેરની વાનગીઓ બનાવતી વખતે હંમેશા તાજા નાળિયેરનો જ ઉપયોગ કરવો. વાનગી બની ગયા પછી તેને લાંબો સમય બહાર રાખવાને બદલે એરટાઈટ ડબ્બામાં ભરી ફ્રિજમાં રાખવી અને 1 થી 2 દિવસમાં વાપરી લેવી.

