ચેન્નઈ, 4 જૂન 2025: આરએસએસ વિરુદ્ધનો વિજયાદશમીની ઉજવણી સંદર્ભે ફોજદારી કેસ હાઈકોર્ટે ફગાવી દીધો હોવાના મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, મદ્રાસ હાઈકોર્ટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્યો વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલી ફોજદારી (ક્રિમિનલ) કાર્યવાહીને સંપૂર્ણપણે રદ્દ કરી દીધી છે. આ સભ્યો સામે તિરૂપત્તુર જિલ્લાના અંબુર ખાતે અગાઉથી મંજૂરી લીધા વિના વિજયાદશમી અને સંગઠનની સ્થાપનાના 100 માં વર્ષ (શતાબ્દી વર્ષ) ની ઉજવણી કરવા માટે એકત્ર થવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મદ્રાસ હાઈકોર્ટે આ ચુકાદો એપ્રિલ 2026માં આપ્યો હતો જેની ચુકાદાની નકલ અને વિગતો હવે પ્રાપ્ત થઈ છે.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર પરવાનગી વિના શાંતિપૂર્ણ રીતે એકત્ર થવું એ કોઈ ગુનો નથી. ન્યાયમૂર્તિ એમ. નિર્મલ કુમારે વી. જયપાલ અને અન્ય 13 લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મંજૂર કરતા આ આદેશ આપ્યો હતો. આ તમામ અરજદારો અંબુરની અદાલતમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ટ્રાયલનો સામનો કરી રહ્યા હતા.
આ પણ વાંચોઃ ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’ના નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઊઠી
શું હતો સમગ્ર મામલો?
પ્રોસિક્યુશનના જણાવ્યા અનુસાર, 2 ઓક્ટોબર, 2025 ના રોજ અરજદારો RSSના ધ્વજ સાથે વિજયાદશમી અને સંગઠનની 100 મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. સ્થાનિક વિલેજ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (VAO) એ ફરિયાદ નોંધાવી હતી કે આ સભ્યો પૂર્વ મંજૂરી વિના એકત્રિત થયા હતા, જેના કારણે જાહેર વાહનવ્યવહાર અને લોકોને અવરોધ ઊભો થયો હતો અને જ્યારે તેમને વિખેરાઈ જવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે ના પાડી દીધી હતી. આ ફરિયાદના આધારે પોલીસે માત્ર 9 દિવસની અંદર જ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.
હાઈકોર્ટે કયા 3 મુખ્ય આધાર પર કેસ રદ્દ કર્યો?
ન્યાયમૂર્તિ એમ. નિર્મલ કુમારે સમગ્ર રેકોર્ડની ચકાસણી કર્યા બાદ પોલીસ કાર્યવાહી અને ચાર્જશીટને ફગાવી દેતા 3 મુખ્ય કારણો આપ્યા હતા:
જાહેર જનતા અથવા સ્વતંત્ર સાક્ષીનો અભાવ: અદાલતે નોંધ્યું કે આ ઘટના જાહેર સ્થળે અને લોકોની હાજરીમાં બની હોવાનો દાવો કરાયો છે, તેમ છતાં પ્રોસિક્યુશને કોઈ પણ સામાન્ય નાગરિક કે સ્વતંત્ર સાક્ષીની પૂછપરછ કરી નથી. સાક્ષી તરીકે માત્ર સરકારી કર્મચારીઓ (VAO, બે વિલેજ આસિસ્ટન્ટ અને તપાસ અધિકારી) ને જ રાખવામાં આવ્યા છે, જે ફરિયાદની સત્યતા પર ગંભીર શંકા પેદા કરે છે.
આ પણ વાંચોઃમહેસાણામાં મેંગો જ્યૂસ માટે સંગ્રહ કરાયેલો સડેલી કેરીનો જથ્થો ઝડપાયો, જુઓ Video
જાહેર જનતાને કોઈ નુકસાન કે અડચણ નહીં: અદાલતે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ સામાન્ય નાગરિકે આ એકત્રીકરણથી પરેશાની થઈ હોવાની ફરિયાદ નોંધાવી નથી કે કોઈને પણ આનાથી કોઈ અસર થઈ નથી.
ઉતાવળે તપાસ અને પ્રતિબંધિત આદેશોનો અભાવ: ઘટનાના માત્ર 9 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવી એ દર્શાવે છે કે તપાસ ખૂબ જ ઉતાવળમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત, તે દિવસે તે વિસ્તારમાં કોઈ પ્રતિબંધાત્મક આદેશ (જેમ કે કલમ 144 વગેરે) લાગુ કરાયો હોય અથવા તેની માહિતી જનતાને આપવામાં આવી હોય તેવા કોઈ પુરાવા રેકોર્ડ પર નથી.
એકત્ર થવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે
મદ્રાસ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું કે, “અરજદારો એક ઉત્સવ અને પોતાના સંગઠનની 100 મી વર્ષગાંઠ ઉજવવા માટે એકઠા થયા હતા. કાયદેસર રીતે એકઠા થવું એ તેમનો બંધારણીય મૂળભૂત અધિકાર છે”. અદાલતે વધુમાં ઉમેર્યું કે, ચાર્જશીટમાં લગાવવામાં આવેલા આરોપો એકદમ સામાન્ય પ્રકૃતિના છે અને કોઈ ચોક્કસ ગુનાઈત કૃત્ય સાબિત કરતા નથી. માત્ર કોઈ સંગઠનના નેજા હેઠળ શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાને કારણે કોઈ વ્યક્તિ કે સમૂહને ગુનેગાર ઠેરવી શકાય નહીં. જો આવી સામાન્ય બાબતોમાં ટ્રાયલ (કેસ) ચાલુ રાખવામાં આવે, તો તે કાયદાની પ્રક્રિયાનો સરેઆમ દુરુપયોગ ગણાશે. આ સાથે હાઈકોર્ટે અંબુર કોર્ટમાં પેન્ડિંગ રહેલી તમામ કાનૂની કાર્યવાહીને સદંતર રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.

