નવી દિલ્હી, 27 જાન્યુઆરી, 2026: India and the European Union ભારત અને યુરોપિયન યુનિયને આજે 27 જાન્યુઆરીને મંગળવારે એક ઐતિહાસિક વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારથી EU દર વર્ષે ડ્યુટીમાં €4 બિલિયન (અંદાજે 36,000 કરોડ રૂપિયા) બચાવશે, કારણ કે ભારત યુરોપથી આયાત કરવામાં આવતા લગભગ 97% સામાન પર ટેરિફ ઘટાડવા અને કેટલાક કિસ્સામાં તે સંપૂર્ણ નાબૂદ કરવા માટે સંમત થયું છે.
લગભગ બે દાયકાની વાટાઘાટો પછી આ સોદો અંતિમ સ્વરૂપ પામ્યો છે. આ કરાર એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને યુરોપિયન યુનિયન બંને અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના નિશાન પર છે.
આજે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ (તમામ સોદાઓમાં સર્વોપરી) ગણાવીને પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે વૈશ્વિક મંચ પર બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેની ભાગીદારીનું “સચોટ” ઉદાહરણ છે. ત્યારબાદ તેમણે આજે 16મી ભારત-યુરોપિયન યુનિયન સમિટ દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા સાથે વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચાઓ કરી હતી.
This agreement will drive trade, investment and innovation while strengthening our strategic relationship.
It reflects our shared resolve to shape a stable, prosperous and future-ready economic relationship. #IndiaEUTradeDeal @EU_Commission @vonderleyen https://t.co/f65vYIamAl
— Narendra Modi (@narendramodi) January 27, 2026
કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે અગાઉ જણાવ્યું હતું કે ભારત અને EU એ સફળતાપૂર્વક વાટાઘાટો પૂર્ણ કરી છે અને મંગળવાર, 27 જાન્યુઆરીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ની જાહેરાત કરવા માટે તૈયાર છે.
જાણવા જેવી મુખ્ય બાબતો:
પીએમ મોદીએ કહ્યું- આ ડીલ ઉત્પાદનને વેગ આપશે: ભારત અને EU એ વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાની વાતને સમર્થન આપ્યા પછી, પીએમ મોદીએ કહ્યું કે આ પગલું ઉત્પાદન અને સર્વિસ સેક્ટર માટે મોટું પ્રોત્સાહન સાબિત થશે. તેમણે એમ પણ કહ્યું કે આ સોદો “વૈશ્વિક જીડીપીના 25 ટકા અને વૈશ્વિક વ્યાપારના 1/3 હિસ્સાનું” પ્રતિનિધિત્વ કરે છે.
આ કરાર ક્યારે અમલમાં આવશે?
ભારત અને EU એ વાટાઘાટો પૂર્ણ કરી છે અને કરાર પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ વ્યાપાર કરાર આવતા વર્ષે અમલમાં આવશે. અગ્રવાલના જણાવ્યા અનુસાર, “લખાણના કાયદાકીય સ્ક્રબિંગ (Legal scrubbing) માં 5-6 મહિનાનો સમય લાગશે; ત્યારબાદ ઔપચારિક હસ્તાક્ષર કરવામાં આવશે.”
ટ્રમ્પના સહયોગીની પ્રતિક્રિયા:
ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર અંગેની વાટાઘાટો હજુ ચાલુ હોવા છતાં ભારત અને EU એ વ્યાપાર સોદો પૂર્ણ કર્યો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે રવિવારે એક મુલાકાતમાં આ બાબત પર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે યુરોપિયન દેશો ભારત પાસેથી શુદ્ધ રશિયન તેલ ઉત્પાદનો ખરીદીને “પોતાની વિરુદ્ધ જ” યુદ્ધ માટે નાણાં પૂરા પાડી રહ્યા છે.
આ અંગે આંતરરાષ્ટ્રીય વેપાર બાબતોના નિષ્ણાત અને ગ્લોબલ નેટવર્કના સ્થાપક ડૉ. જગત શાહે ભારત-EU વ્યાપાર કરાર ઉપર એક વિગતવાર વિશ્લેષણ તૈયાર કર્યું છે. તેમના વિશ્લેષણ અનુસારઃ
૧. મુખ્ય ફાયદા
વિશાળ સ્કેલ અને વ્યૂહાત્મક સંકેત: આ કરાર બે વિશાળ બજારોને જોડે છે. એવા સમયે જ્યારે બંને પક્ષો કોઈ એક દેશ (ખાસ કરીને ચીન) પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે, ત્યારે આ કરાર એક મજબૂત ‘રૂલ્સ-બેઝ્ડ’ વ્યાપારનો સંકેત આપે છે. આનાથી રોકાણકારોનો આત્મવિશ્વાસ વધશે.
બજાર પ્રવેશ (Market Access): EU થી ભારત: ભારતના ઊંચા ટેરિફ, ખાસ કરીને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં, હવે તબક્કાવાર ઘટશે. જોકે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) માટે શરૂઆતમાં થોડી છૂટછાટ રાખવામાં આવી છે.
ભારત થી EU: ભારતના શ્રમ-સઘન ઉદ્યોગો જેવા કે ટેક્સટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી અને એન્જિનિયરિંગ માલસામાનને યુરોપના બજારમાં સરળ પ્રવેશ મળશે.
રોકાણ અને ટેકનોલોજી: જો આ કરાર બૌદ્ધિક સંપદા (IP) અને વિવાદ નિવારણમાં સ્પષ્ટતા લાવશે, તો યુરોપની એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને ક્લીન-ટેક કંપનીઓ ભારતમાં પોતાના પ્લાન્ટ્સ નાખશે.
વ્યૂહાત્મક સહયોગ: માત્ર ટેરિફ જ નહીં, પરંતુ સેમિકન્ડક્ટર, ફાર્મા અને ગ્રીન એનર્જી જેવાં ક્ષેત્રોમાં ધોરણો (Standards) અને સપ્લાય ચેઈન સંકલન પર ભાર મૂકવામાં આવ્યો છે.
૨. સંભવિત ગેરફાયદા
સ્થાનિક ઉદ્યોગો પર દબાણ: ભારતમાં ઓટો પાર્ટ્સ, વાઈન અને સ્પિરિટ્સ તેમજ મેડિકલ ડિવાઈસ ક્ષેત્રના નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) પર યુરોપિયન સ્પર્ધાને કારણે દબાણ આવી શકે છે.
અનુપાલન ખર્ચ (Compliance Costs): ટેરિફ ઘટવા છતાં, યુરોપના કડક પ્રોડક્ટ ધોરણો, પર્યાવરણીય નિયમો અને ઓડિટિંગ પ્રક્રિયા નાના ભારતીય નિકાસકારો માટે મોટો આર્થિક બોજ બની શકે છે.
ક્લાયમેટ-લિંક્ડ ઘર્ષણ (CBAM): EU ના કાર્બન ટેક્સ (CBAM) ને કારણે ભારતના સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા ઉદ્યોગો પર વધારાનો ખર્ચ આવી શકે છે, જેને ભારત ઘણીવાર ‘વ્યાપાર અવરોધ’ તરીકે જુએ છે.
અમલીકરણમાં જોખમ: વાટાઘાટો પૂરી થઈ ગઈ છે, પરંતુ કાયદાકીય સમીક્ષા (Legal Scrubbing) અને રાજકીય મંજૂરીઓમાં હજુ મહિનાઓ લાગી શકે છે, જે અનિશ્ચિતતા પેદા કરે છે.
૩. ભારત માટે મુખ્ય તકો :
- ટેક્સટાઈલ અને શ્રમ-સઘન ક્ષેત્રોમાં નિકાસમાં ઉછાળો.
- કુશળ કામદારોની અવરજવર (Visas/Mobility) અને સર્વિસ સેક્ટરમાં નવી તકો.
- યુરોપિયન ટેકનોલોજીના આગમનથી ભારતીય મેન્યુફેક્ચરિંગની ગુણવત્તામાં સુધારો.
EU માટે મુખ્ય તકો:
- ભારતના ઝડપથી વિકસતા ગ્રાહક બજાર સુધી પહોંચ.
- ઓટોમોબાઈલ અને પ્રીમિયમ મેન્યુફેક્ચરિંગ માટે ભારત એક મોટું હબ બનશે.
- ફાર્માસ્યુટિકલ અને એન્જિનિયરિંગ સામાન માટે ચીન સિવાયનો ભરોસાપાત્ર વિકલ્પ.
૪. મુખ્ય જોખમો
- કાગળ પર કરાર, વ્યવહારમાં ઘર્ષણ: જો વહીવટી પ્રક્રિયા (Red tape) વધશે, તો ટેરિફ ઘટવા છતાં નિકાસમાં ધાર્યો વધારો નહીં થાય.
- અસમાન લાભ: જો આનો ફાયદો માત્ર મોટી કંપનીઓને જ મળશે, તો રાજકીય સ્તરે વિરોધ થઈ શકે છે.
- ભૂ-રાજકીય દબાણ: વૈશ્વિક વ્યાપાર વિવાદો અને બદલાતા ગઠબંધનો વચ્ચે આ કરારને સંપૂર્ણપણે લાગુ કરવો પડકારજનક બની શકે છે.
- વોચ લિસ્ટ (તમારે શેના પર નજર રાખવી જોઈએ?)
ઓટો, સ્પિરિટ્સ અને મેડિકલ ડિવાઈસના અંતિમ ટેરિફ રેટ્સ. - Rules of Origin (માલ કયા દેશનો છે તેના નિયમો) ની સરળતા.
- SMEs ને યુરોપિયન ધોરણો મુજબ તૈયાર કરવા માટે સરકારની સહાય યોજનાઓ.
- કરાર અમલી બનવાની ચોક્કસ તારીખ.

