Site icon Revoi.in

અખિલ ભારતીય સંયોજક જે. નંદકુમારજી દ્વારા લિખિત “સ્વરાજ@75” પુસ્તકનું વિમોચન

Social Share

અમદાવાદઃ હિન્દુત્વ વિચારક અને પ્રજ્ઞાપ્રવાહ ના અખિલ ભારતીય સંયોજક જે. નંદકુમારજી દ્વારા લિખિત “સ્વરાજ@75” પુસ્તકનું વિમોચન અમદાવાદ સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશન (AMA) મુકામે થયું હતું. આ કાર્યક્રમમાં અંધજન મંડળ સંસ્થાના જનરલ સેક્રેટરી ભૂષણ પુનાની મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. RSS મેમનગર ભાગના સંઘચાલક ઉદયભાઈ કારાણીની ઉપસ્થિતિમાં RSS ના કર્ણાવતી મહાનગર, પશ્ચિમ વિભાગના સંઘચાલક હરેશભાઈ ઠક્કર દ્વારા પુસ્તક પરિચય અપાયો હતો.

અખિલ ભારતીય સંયોજક જે. નંદકુમારજીના આ પુસ્તકનું વિમોચન આખા દેશમાં દરેક જીલ્લામાં એકસાથે થયું હતું. સ્વતંત્રતાના 75 વર્ષ સંપન્ન થવાના ઉપક્રમે RSS દ્વારા ભારતીય સ્વતંત્રતા સંગ્રામને તેના તાત્વિક સ્વરૂપે સમાજ સમક્ષ મુકવાના પ્રયત્ન રૂપે આ પુસ્તકનું ઠેર ઠેર વિમોચન કરાયું છે. આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય અને ત્યારબાદ પુસ્તક વિમોચન સાથે થયો હતો. હરેશભાઈ ઠક્કરે આ પુસ્તક વિષે પરિચય આપતા કહ્યું કે, ભારતનો ઈતિહાસ પ્રમાણિક પ્રયત્નો દ્વારા તેના સાચા સ્વરૂપે લખવાની આવશ્યકતા છે. આપણા વર્તમાન ઈતિહાસને વાંચતા એવું લાગે છે કે ભારતનો સ્વતંત્રતા સંઘર્ષ બહુ ટૂંકો છે અને બહુ જુજ લોકોએ તેમાં ભાગ લીધો હતો. જયારે વાસ્તવિકતા એવી છે કે આપણો સંઘર્ષ એક હજાર થી પણ વધુ વર્ષનો રહ્યો છે અને તેમાં દેશના દરેકે દરેક ખૂણાઓથી સ્વાતંત્રવીરોએ ભાગ લીધો હતો. આ સ્વતંત્રતા સંગ્રામ માત્ર રાજકીય ચળવળ ન રહીને સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ભાષાકીય અને ક્ષેત્રીય, એમ સમાજના દરેકે દરેક આયામો ઉપર લડાયો હતો.

આ પુસ્તકમાં મુખ્યત્વે એ બાબત ઉપર સ્પષ્ટતા આપવામાં આવી છે કે “સ્વરાજ”, “સ્વદેશી” વગરે શબ્દોમાં જે “સ્વ” ની ભાવના રહેલી છે એનો મૂળભૂત અર્થ સ્વાતંત્રસેનાનીઓ માટે શું હતો. આ સાથે પુસ્તકમાં એ વાત પણ પ્રસ્તુત કરવામાં આવી છે કે કઈ રીતે સ્વતંત્રતા પછી ડાબેરી વિચારધારા વાળા પ્રસાશન દ્વારા પ્રમાણિક ઇતિહાસકારોને હશીયામાં ધકેલી દઈને શિક્ષણમાં સત્યથી વિપરીત એવો એજન્ડા ચલાવવામાં આવ્યો. અંતે વર્તમાન પેઢી કઈ રીતે આ સ્વરાજ વાળા “સ્વ” થી વિસ્મૃત થઇ ગઈ છે, અને તેની સામેના કેવા કેવા પડકારો છે તેની વાત કરીને હરેશભાઈએ તેને પાર પામવાના ઉપાયો વિષે પણ વિસ્તૃત ચર્ચા કરી છે.

મુખ્ય અતિથી ભૂષણભાઈ પુનાનીએ તેમના વક્તવ્યની શરૂઆતમાં તેમના માતાપિતા ભારતના ભાગલા વખતે કેવી વિકટ પરિસ્થિતિમાં સિંધથી ભારત આવ્યા તેની હૃદયસ્પર્શી વાત કહી. આ ઘટના વખતે કેવા કેવા નરસંહાર થયા અને કઈ રીતે તેઓને તેમના હાલ ઉપર છોડી દેવામાં આવ્યા હતા એ વિતક કથા કહી. ત્યારબાદ તેમણે પોતાના પૂર્વજો દ્વારા વેઠેલી હાલાકી ઉપરથી પ્રેરણા લઈને સદા અસહાય લોકોની સેવા કરવાનો સંકલ્પ કઈ રીતે લીધો તે જણાવ્યું છે.

પોતાની અત્યંત જ્વલંત કારકિર્દી ત્યજીને કઈ રીતે તમેણે એક અંધજન મંડળ નામની નાનકડી સંસ્થામાં પદ સ્વીકારીને માનવતાના કાર્યને જીવનનું લક્ષ્ય બનાવ્યું. તેમના આ સેવાયજ્ઞના ફળ સ્વરૂપે કઈ રીતે આ સંસ્થાને આજે એશિયાની સૌથી શ્રેષ્ઠ અને સમૃદ્ધ સંસ્થા બનાવી તેની પણ વાત કહી.