Site icon Revoi.in

ગાંધીનગર સચિવાલયના કર્મચારીઓ સમયસર નહીં આવે તો હવે શિક્ષાત્મક પગલા ભરાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે પણ નિયંત્રણો હળવા કરી દીધા છે. તેમજ સરકારી કચેરીઓમાં પણ તમામ કર્મચારીઓની હાજરી સાથે વહિવટી તંત્રને ગતિશીલ બનાવવા સરકારે આદેશ કર્યો હતો. કોરોનાના કેસ ઘટતા ગાંધીનગર સચિવાલયમાં હવે મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, બીજીબાજુ કોરોના કાળમાં દોઢ મહિના સુધી ઘેર રહેલા કર્મચારીઓ આળસુ બની ગયા છે અને સમયસર ઓફિસમાં આવતા નથી તેવી ફરિયાદો ઊઠતા સરકારે લાલ આંખ કરી છે.

રાજ્યના નાણાં વિભાગે સમયસર કચેરીમાં નહીં આવનારા કર્મચારીઓના મુદ્દે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ સરકારી કચેરીમાં સવારે 10.30 વાગ્યાથી સાંજે 6.10 વાગ્યા સુધી ફરજ પર હાજર રહેવાનું હોય છે. જો.કે કેટલાક કર્મચારીઓ 10.40 પછી કચેરીમાં હાજર થતાં હોય છે. તેમજ સાંજે 6 વાગ્યા પહેલા જ ઘરે રવાના થઈ જતાં હોય છે. નવા પરિપત્ર પ્રમાણે જો કોઈ કર્મચારી આવા કિસ્સામાં ત્રીજી વખત પકડાશે તો અડધા દિવસની રજા ગણી લેવાશે. તે ઉપરાંત તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે સચિવાલયના દરેક કર્મચારીઓની હાજરી માટે કાર્ડ સ્વાઈપ કરવા માંથી મુક્તિ આપવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી રિવ્યૂ મીટિંગમાં કેટલાક સરકારી કર્મચારીઓ ઓફિસ સમયના નિયમનુ પાલન કરતા નહીં હોવાનું સામે આવ્યું છે. તેથી અધિક મુખ્ય સચિવ દ્વારા આ મામલે કડક પગલા લેવાયા છે. જો કોઈ કર્મચારી એક મહિનામાં બે વાર 10.40 બાદ કચેરીમાં આવશે અથવા સાંજે 6 પહેલા ઓફિસ છોડશે તો તેના પર કાર્યવાહી કરાશે.સાથે જ આકસ્મિક સંજોગોમાં મોડા આવવાનું અને વહેલા જવાનુ જણાય તો ઉપરી અધિકારીને આ વિશે જાણ કરવાની રહેશે. સચિવાલયના દરેક કર્મચારી માટે આ નિયમ લાગુ પડશે.