Site icon Revoi.in

અમદાવાદમાં હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવો વાહન ચાલકોને પડશે ભારેઃ ઘરે આવશે ઈ-મેમો

Social Share

અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસમાં વધારો થયાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડ વસુલવાનું બંધ કરવામાં આવ્યું હતું. પોલીસ માસ્ક નહીં પહેનારા અને કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરતી હતી. જો કે, કોરોનાના કેસ હવે ધીમે-ધીમે ઘટી રહ્યાં છે. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ દ્વારા કોરોના ગાઈડલાઈનને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ-મેમો આપવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં મે મહિના દરમિયાન 43 હજાર લોકોને ટ્રાફિક પોલીસે સ્ટોપલાઈન ભંગનો ઈ-મેમો મોકલ્યો છે. તે ઉપરાંત રોંગ સાઈડમાં વાહન ચલાવતા 85 લોકો પણ CCTV કેમેરાની ઝપટે આવી ગયાં હતાં.  ટ્રાફિક પોલીસે તા. 2 મેથી 28મી મે દરમિયાન જ 43681 વાહનચાલકોને 2.84 કરોડ રૂપિયાની રકમના ઈ-મેમો લોકોને ઘરે મોકલવાન કામગીરી હાથ ઘરી છે.પહેલી વખત ટ્રાફિક નિયમભંગ કરવા બદલ 500 રૂપિયાનો ઈ-મેમો આવે છે. બીજી વખતથી 1 હજાર રૂપિયાનો ઈ-મેમો ફટકારવામાં આવે છે. ટ્રાફિક પોલીસના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં તો લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃતતા વધે તે માટે સ્ટોપલાઈન ભંગના ઈ-મેમો જ ઈસ્યૂ કરવામાં આવી રહ્યાં છે. પોલીસ રોન્ગસાઈડમાં આવતાં 85 વાહનચાલકોને 43 હજારની રકમના ઈ-મેમો આપ્યાં છે. હાલમાં અમદાવાદમાં કુલ 27 જંકશન પર ઈ-મેમો ઈસ્યૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકો પાસેથી સ્થળ દંડ પણ વસુલવાનું શરૂ કરવામાં આવ્યું છે. આવનારાં દિવસોમાં ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે.