Site icon Revoi.in

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પીએમનો રોડ શોમાં લોકો ઉમટી પડ્યાં

Social Share

અમદાવાદઃ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઈન્દિરાબ્રીજ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે તેમનું અભિવાદન ઝીલવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડની બન્ને સાઈડ પર ઊભા રહીને લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. રોડ શો પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચ્યા બાદ મોરેશિયસના પીએમનો પણ એરપોર્ટથી ઈન્દિરાબ્રીજ સુધીનો રોડ શો યોજાયો હતો. તેમનું પણ લોકોએ અભિવાદન કર્યું હતું.

જામનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારબાદ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ પણ એરપોર્ટ પહોંચ્યા હતા. બંને પીએમના સ્વાગત માટે રાજ્યપાલ પણ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ શો પૂર્ણ કરી ગાંધીનગર જવા રવાના થયા હતા. રોડ શોમાં લોકો લાઈનો જોવા મળી હતી. મોદી એરપોર્ટથી લોકોનું અભિવાદન ઝીલતાં ગાંધીનગર જવા રવાના થયા હતા. ત્યારબાદ હવે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ પણ અમદાવાદમાં રોડ શો કરી ગાંધીનગર પહોંચ્યા હતા. બંને વડાપ્રધાનનો અલગ અલગ રોડ શો યોજાયો હતો. એરપોર્ટથી તાજ સર્કલ, હાંસોલ અને ઈન્દિરા બ્રિજ સુધી લોકો માનવ સાંકળ રચી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાનને પણ આવકાર્યા હતા. સમગ્ર રોડ શોને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રૂટ પર ગોઠવી દેવાયો હતો. રોડની બંને તરફ બેરિકેટ લગાવી અને લોકો ભાજપના ઝંડા હાથમાં રાખી, ટોપી અને ખેંસ પહેરી સ્વાગત કર્યુ હતુ. બંને વડાપ્રધાન રોડ શો દરમિયાન ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો રજુ કરાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથના રોડ શોના કાર્યક્રમને લઈ બપોરે 3 વાગ્યાથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે ડફનાળાથી નોબલનગર ટી સુધી વાહનોની અવાર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વાહન ચાલકોએ આ દરમિયાન વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કર્યો હતો