Site icon Revoi.in

અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રૂ. 253 કરોડના વિકાસ કામો થશે

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને રૂ. 253 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.  અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં 81 જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન તથા નવા હેલ્થ સેન્ટર માટે કુલ 110 કરોડ રૂપિયા ફાળવાની સૈદ્ધાંતિક મંજૂરી આપાઈ છે.

મુખ્યમંત્રીએ સુરત મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સહારા દરવાજા રિંગરોડ ફલાય ઓવર બ્રીજથી કરણી માતાના ચોક સુધીના ફલાય ઓવરબ્રીજના કામ માટે વધારાના 70 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. એટલું જ નહિ, વડોદરા મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો, જુદા જુદા સી.સી રોડ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન તથા પાણીની પાઇપલાઇનના મળીને 1129 કામો માટે રૂ. 63.53 કરોડના કામોને મંજૂરી આપી છે.

આ ત્રણ મહાનગરો ઉપરાંત જામનગર મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે કુલ-9 રસ્તાના કામો માટે 9.16 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. આમ એક જ દિવસમાં રાજ્યના આ ચાર મહાનગરોમાં જનહિતકારી વિકાસ કામો માટે સમગ્રતયા રૂ. 250 કરોડ ઉપરાંતની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.