Site icon Revoi.in

સોનાની તસ્કરીના કેસમાં ગુનેગારને સાઉદી અરેબિયાથી ભારત પરત લવાયો

Social Share

નવી દિલ્હીઃ બે દાયકા પહેલાના 18.5 કિલો સોનાની દાણચોરી કેસમાં ફરાર આરોપી શૌક્ત અલીને સીબીઆઈના પ્રયાસોના કારણે સાઉદી અરેબિયાથી ભારતમાં લાવવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે. આરોપી સાથે ઈન્ટરપોલે રેડ નોટિસ જાહેર કરી હતી.  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વર્ષ 2020માં સોનાની દાણચોરીનો કેસ નોંધ્યો હતો. શૌકત અલી આ કેસમાં આરોપી છે, જેને ભારત લાવવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જુલાઈ 2020 માં, લગભગ 18.5 કિલો સોનું સાઉદી અરેબિયાથી જયપુર લાવવામાં આવ્યું હતું. NIA આ મામલે તપાસ કરી રહી છે. NIAએ તેની ચાર્જશીટમાં 18 લોકોને આરોપી બનાવ્યા હતા, જેમાં શૌકત અલીનો પણ સમાવેશ થાય છે. શૌકત અલી ભારતમાં સોનાની દાણચોરીના કેસમાં વોન્ટેડ હતો અને લાંબા સમયથી સાઉદી અરેબિયામાં રહેતો હતો. જપ્ત કરાયેલા 18 કિલો સોનાના બિસ્કીટની કિંમત અંદાજે 9 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ સોનું ઇમરજન્સી લાઇટની બેટરીમાં છુપાવીને ભારતમાં લાવવામાં આવ્યું હતું.

CBIએ 13 સપ્ટેમ્બર 2021ના રોજ આરોપી શૌકત અલી વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી. આ પછી, આ રેડ નોટિસ ઇન્ટરપોલના તમામ સભ્ય દેશોને મોકલવામાં આવી હતી, જેથી જો આરોપી તેમના દેશમાં હોય તો તેની ત્યાંથી ધરપકડ કરી શકાય. ઈન્ટરપોલ તરફથી નોટિસ મળ્યા બાદ સાઉદી અરબ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ પછી, સીબીઆઈના ગ્લોબલ ઓપરેશન સેન્ટરની મદદથી, સીબીઆઈએ સાઉદી અરેબિયાની નેશનલ સેન્ટ્રલ બ્યુરો એજન્સી સાથે સંકલન કર્યું અને આરોપીને ભારત લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.