Site icon Revoi.in

રાજકોટમાં બે જ્વેલર્સ જૂથ પાસે આવકવેરા વિભાગના દરોડોમાં કરોડોના બિનહિસાબી વ્યવહાર મળ્યાં

Social Share

અમદાવાદઃ આવકવેરા વિભાગે તાજેતરમાં રાજકોટમાં જાણીતા બે જ્વેલર્સ જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન કરોડની રોકડ રકમ મળી આવી હતી. આઈટીના અધિકારીઓએ દરોડા દરમિયાન બેંકના 24થી વધારે લોકરને સીલ કર્યાં હતા. આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહીના અંતે લગભગ લગભગ 1300 કરોડના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.

આવકવેરા વિભાગે રાજકોટમાં લગભગ 32 સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ કર્યાં હતા. તપાસમાં 12 કરોડની જ્વેલરી અને રોકડ રકમ મળી આવી હતી. છ દિવસની તપાસના અંતે આવકવેરા વિભાગના અધિકારીઓએ રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સોંપ્યો હતો. રિપોર્ટમાં જ્વેલર્સને ત્યાંથી દરોડા દરમિયાન 1300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યાંનો ખુલાસો કર્યો હતો. અનેક મિલકત સબંધી ફાઇલો પણ મળી આવી છે. આવકવેરા વિભાગની હજુ ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. જ્વેલર્સ જૂથ દ્વારા અમદાવાદ સહિતના વિસ્તારમાં જમીનમાં રોકાણ કર્યાનું ખૂલ્યું હતું. આવકવેરા વિભાગના અંતે કરોડોની કરચોરી સામે આવે તેવી શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે રોજકોટના સોની બજારના જાણીતા જ્વેલર્સ જૂથના સંચાલકોની ઓફિસ અને વ્યવસાયના સ્થળો ઉપર દરોડો પાડીને તપાસ કરી હતી. દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યાં હતા. રાજકોટના સોની બજારમાં આઈટીના દરોડા પગલે અન્ય સોની વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.