દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન ચીન દ્વારા ભરતીય ચોકીઓ સામે ટેન્ક તૈનાત કરવામાં આવી હતી. જેથી ભારતીય સેના વધારે સતર્ક બન્યું છે. તેમજ ચીનને તેની ભાષામાં જ જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત દ્વારા સરહદ ઉપર ટેન્ક, તોપ અને સૈન્ય વાહનો પહોંચાડવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભારતે મોટી સંખ્યામાં ટી-90 અને ટી-72 ટેન્ક, તોપો, અન્ય સૈન્ય વાહનોને વિભિન્ન સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચાડી દીધા છે. એટલું જ નહીં 16000 ફૂટની ઉંચાઇ પર તૈનાત જવાનો માટે મોટી માત્રામાં કપડાં, ટેન્ટ, ખાદ્ય સામગ્રી, સંચાર સાધનો, ઇંધણ, હીટર પણ પહોંચી ચૂકયા છે. આ ઉપરાંત પૂર્વ લદ્દાખમાં ત્રણ વધુ સેના ડિવિઝનની તૈનાત કરાયાં છે. એલએસી પર ભારતીય ટી-90 અને ચીની ટી-15 ટેન્ક 200 મીટરના અંતર પર સામસામે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીમા વિવાદના ઉકેલ માટે બંને દેશની સેનાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠકનો દોર ચાલી રહ્યો છે. જો કે, હજુ કોઈ ઉકેલ આવ્યો નથી. બીજી તરફ ચીન દ્વારા ભારતીય ચોકીઓ સામે ટેન્ક તૈનાત કરવામાં આવી છે. તેમજ અમેરિકાએ ભારતીય નૌસેનાને ચીનની વધુ એક નાપાક હરકત અંગે સાવચેત કર્યું હતું. અમેરિકાએ કહ્યું હતું કે, 12 ચીની જંગ જહાજ અંદમાન દ્વીપની તરફ આગળ વધવા માટે તૈયાર છે. ચીન દ્વારા ભારતીય સેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થયાં હતા. ત્યાર બાદ વિવાદ વધુ વકર્યો હતો.