નવી દિલ્હી, 23 માર્ચ 2026: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધી રહેલા સશસ્ત્ર સંઘર્ષની સીધી અસર હવે ભારતના રસોડા અને ખેતરો સુધી પહોંચી રહી છે. ઇરાન દ્વારા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવી હોર્મુઝની ખાડીની નાકાબંધી કરવામાં આવતા વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇન તૂટી પડી છે. આના પરિણામે ભારતમાં ગેસનો પુરવઠો ખોરવાયો છે અને દેશના યુરિયા પ્લાન્ટ્સ અત્યારે તેમની કુલ ક્ષમતાના માંડ 50 ટકા પર કામ કરી રહ્યા છે.
દેશના સૌથી મોટા એલએનજી ટર્મિનલનું સંચાલન કરતી કંપની પેટ્રોનેટ એલએનજીએ સત્તાવાર રીતે ‘ઇમરજન્સી સ્થિતિ’ની જાહેરાત કરી છે. વિદેશી સપ્લાયરોએ હોર્મુઝની ખાડીમાંથી જહાજો પસાર ન થઈ શકતા હોવાથી ગેસ મોકલવામાં અસમર્થતા દર્શાવી છે. આ વિકટ સ્થિતિને પગલે સરકારી ગેસ વિતરક કંપનીઓ જેવી કે ગેલ, ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમએ પુરવઠામાં કાપ મૂકવાની શરૂઆત કરી દીધી છે.
ઔદ્યોગિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેસનો પુરવઠો સામાન્ય સ્તરથી ઘટાડીને 60 થી 65 ટકા કરી દેવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ તો પ્લાન્ટ્સને મળતો સપ્લાય 50 ટકાથી પણ નીચે જતો રહ્યો છે. આના સીધા પરિણામે યુરિયાનું ઉત્પાદન પણ અડધું થઈ ગયું છે. જો આ સ્થિતિ વધુ સમય ચાલુ રહેશે, તો આગામી ખરીફ સીઝન પહેલા દેશમાં ખાતરની મોટી તંગી સર્જાવાનું જોખમ છે.
ભારત વિશ્વમાં યુરિયાના સૌથી મોટા ગ્રાહકોમાંનો એક છે. જોકે, રાહતની વાત એ છે કે ભારત પાસે હાલમાં યુરિયાનો સારો એવો સ્ટોક છે. 19 માર્ચ સુધીમાં ભારત પાસે 61.14 લાખ ટન યુરિયાનો ભંડાર હતો. ગયા વર્ષે આ સમયે સ્ટોક 55.22 લાખ ટન હતો. પરંતુ, જો સ્થાનિક ઉત્પાદન લાંબા સમય સુધી ઠપ્પ રહેશે, તો આ ભંડાર ઝડપથી ખાલી થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા પછી હવે ખાતરની અછત મોંઘવારીમાં વધુ વધારો કરી શકે છે.
હોર્મુઝની ખાડી એ વિશ્વનો સૌથી મહત્વનો જળમાર્ગ છે જ્યાંથી દુનિયાનો ત્રીજા ભાગનો લિક્વિફાઇડ નેચરલ ગેસ અને તેલ પસાર થાય છે. ઇરાને આ માર્ગ બંધ કરતા આખા વિશ્વમાં ઊર્જા કટોકટી સર્જાઈ છે, જેની સીધી અસર ભારતના ઉદ્યોગો પર પડી રહી છે.

