Site icon Revoi.in

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓ શિવે શરણે: સુંદર-વરુણ ચક્રવર્તીએ ઉઘાડા પગે પરિક્રમા કરી

Social Share

ચેન્નાઈ, 12 માર્ચ 2026: ટી20 વર્લ્ડ કપ 2026ના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને ભારતે ત્રીજી વખત ટાઈટલ પર કબજો જમાવ્યો છે. આ ભવ્ય વિજય બાદ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે, ત્યારે ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ખેલાડીઓ વોશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તી પોતાની માનતા પૂરી કરવા ભગવાન શિવના શરણે પહોંચ્યા હતા. આ બંને ખેલાડીઓએ તિરુવન્નામલાઈમાં અરુણાચલ ટેકરીની 14 કિલોમીટર પરિક્રમા ઉઘાડા પગે પૂર્ણ કરી હતી.

ધાર્મિક માન્યતા અનુસાર, અરુણાચલ ટેકરીને ભગવાન શિવનું સાક્ષાત્ સ્વરૂપ અને અગ્નિ જ્યોતિનું પ્રતીક માનવામાં આવે છે. પુરાણો મુજબ, બ્રહ્મા અને વિષ્ણુના અહંકારને દૂર કરવા માટે શિવે અનંત અગ્નિ સ્તંભનું રૂપ ધારણ કર્યું હતું, જે બાદમાં પહાડી તરીકે સ્થિર થયું હતું. અહીં ઉઘાડા પગે પરિક્રમા કરવાથી પાપોનો નાશ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી શ્રદ્ધા છે. વર્લ્ડ કપ જીતવાની મનોકામના પૂર્ણ થતા આ બંને ખેલાડીઓ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ટી20 વિશ્વકપમાં ચક્રવર્તીએ ટુર્નામેન્ટની 9 મેચમાં 14 વિકેટ ઝડપી હતી, પરંતુ તે મોંઘો સાબિત થયો હતો (ઈકોનોમી રેટ 10). આ કારણે તેની રેન્કિંગમાં પણ ઘટાડો થયો છે. જ્યારે વોશિંગ્ટન સુંદરને માત્ર બે મેચ રમવાની તક મળી હતી, જેમાં તે વિકેટ ઝડપી શક્યો ન હતો. સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહના શાનદાર પ્રદર્શનના જોરે ભારતે ન્યુઝીલેન્ડ સામે એકતરફી વિજય મેળવી ઈતિહાસ રચ્યો હતો.

ભક્તો અહીં જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ માટે આવે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની આ શ્રદ્ધા જોઈને ચાહકો પણ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપી રહ્યા છે. જીત બાદ મળેલી ઈનામી રકમ અને સન્માનની વચ્ચે ખેલાડીઓની આ આધ્યાત્મિક મુસાફરીએ લોકોના દિલ જીતી લીધા છે.

આ પણ વાંચોઃ આંધ્ર પ્રદેશમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી 12 લોકોના મોત, અનેકની હાલત ગંભીર

Exit mobile version