Site icon Revoi.in

અસમના ધેમાજીમાં અરુણાચલ સરહદે અંધાધૂંધ ગોળીબાર, 8 ગ્રામીણ ઈજાગ્રસ્ત

Social Share

ધેમાજી, 10 ઓગસ્ટ 2026: આસામ અને અરુણાચલ પ્રદેશની સરહદ પર આવેલી મિંગમંગ બસ્તી ખાતે સોમવારે જમીન વિવાદને લઈને એક હિંસક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અરુણાચલ પ્રદેશ તરફથી આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ આસામના ગ્રામીણો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ સરહદી વિસ્તારમાં ભારે તણાવ અને ભયનો માહોલ છવાઈ ગયો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આસામની જમીન પર અરુણાચલ પ્રદેશના કેટલાક લોકો દ્વારા કથિત દબાણ અને અતિક્રમણ કરવામાં આવ્યું હતું, જેને લઈને બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. સોમવારે સવારના સુમારે આ વિવાદ ઉગ્ર બન્યો હતો અને સરહદની પેલે પારથી આવેલા શખ્સોએ આસામના ગ્રામીણોને નિશાન બનાવીને અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

આ અચાનક થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની ઓળખ દુર્ગેશ્વર પાટીર, રોહિત ડોલે, નાગરાજ ડોલે, બિગ્ગેશ્વર પાટીર, પામે પેગૂ, સંજય તાયૂંગ, ઉત્પલ ડોલે અને જન ડોલે તરીકે થઈ છે. ઘટના બાદ તુરંત જ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોગામુખ ગ્રામીણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી સાત લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ અને સચોટ સારવાર માટે ધેમાજી સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે.

ગોળીબાકની આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. સંવેદનશીલ બનેલા આસામ-અરુણાચલ સરહદ વિસ્તારમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે વધારાના સુરક્ષા દળો અને પોલીસ બળની તૈનાતી કરી દેવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છે. પ્રશાસન દ્વારા અતિક્રમણના વિવાદ અને હુમલા પાછળના અન્ય તથ્યોની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે જેથી દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરી શકાય.

Exit mobile version