Site icon Revoi.in

હવાને કારણે કોરોના વાયરસ વધુ ફેલાય છે: અમેરિકાના સંશોધકોનું સંશોધન

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને સૌથી વધુ ભારત તેનાથી પ્રભાવિત છે ત્યારે કોરોના વાયરસના પ્રસારને લઇને વધુ એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે હવાના કારણે કોરોના વાયરસ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યો છે. અમેરિકા સ્થિત સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પોતાના સંશોધનમાં આ જાણકારી આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ સંશોધનમાં અમેરિકા, બ્રિટન અને કેનેડાના 6 નિષ્ણાતો સામેલ થયા હતા. તેઓ અનુસાર વાયરસ એરબોર્ન છે. જો કે ભારત સરકારનું સ્વાસ્થ્ય મંત્રાલય આ વાત નકારી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આ વાયરસ હવાને બદલે એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, આ વાયરસ સંખ્યાબંધ વખત પોતાનું સ્વરૂપ બદલે છે તેમજ તેનું પ્રોટિન એટલુ શક્તિશાળી છે કે, માનવ કોશિકાઓમાં પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે. એક વખત શરીરમાં પ્રવેશ્યા બાદ તે સંક્રમણ ફેલાવવાનું શરૂ કરી દે છે.

જ્યારે લોકો શ્વાસોચ્છશ્વાસની ક્રિયા કરે છે કે કોઇની સાથે વાતો કરે છે ત્યારે તે હવામાં વાયરસ ફેલાય છે અને ત્યાં લાંબા સમય સુધી સક્રિય રહે છે. વાતચીત દરમિયાન મોઢામાંથી નિકળતી લાળના નાના કે મોટા ટીપા સ્વરૂપે તે હવામાં જ રહે છે.

નિષ્ણાતો અનુસાર 6 ફૂટના અંતરે ઉભેલી વ્યક્તિને વાયરસ પ્રભાવિત નથી કરી શકતો અને આ જ કારણોસર સોશિયલ ડિસ્ટન્સિંગનું વિશેષ મહત્વ રહેલું છે.

(સંકેત)