આજના સમયમાં વાળ ખરવા અને પાતળા થવા એ એક સામાન્ય કોસ્મેટિક સમસ્યા બની ગઈ છે. પ્રદૂષણ, ખોટી લાઈફસ્ટાઈલ અને તણાવના કારણે નાની ઉંમરમાં જ લોકોના વાળ ઝડપથી પાતળા થવા લાગે છે. ‘અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી’ ના એક અહેવાલ મુજબ, દિવસભરમા 50 થી 100 વાળ ખરવા એ સામાન્ય બાબત છે, પરંતુ જો તેનાથી વધુ પ્રમાણમાં વાળ ખરે તો તે ‘હેર લોસ’ (વાળ ખરવાની સમસ્યા) ની શ્રેણીમાં આવે છે. વાળ પાતળા થવા પાછળ હોર્મોનલ અસંતુલન, ઓટોઈમ્યુન ડિસઓર્ડર અને શરીરમાં આયર્નની કમી જેવા અનેક મુખ્ય કારણો જવાબદાર હોઈ શકે છે.
-
વાળ પાતળા થવા પાછળના મુખ્ય કારણો
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો તમે સતત માનસિક તણાવ (સ્ટ્રેસ) માં રહો છો અથવા તમારી ડાયેટ (ખોરાક) યોગ્ય નથી, તો વાળ નબળા પડવા સ્વાભાવિક છે. આ સિવાય સ્કીન ઇન્ફેક્શન કે ડિસઓર્ડર, ઓટોઈમ્યુન ડીસીઝ અને કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સનો અતિશય વપરાશ પણ વાળને પાતળા બનાવે છે. ખાસ કરીને જો શરીરમાં વિટામિન B12 અને B કોમ્પ્લેક્સની ઉણપ હોય, તો વાળના મૂળ નબળા પડી જાય છે.
-
પાતળા વાળને ફરીથી કાળા અને ઘાટા બનાવવા અપનાવો આ ઉપાયો
લેવેન્ડર ઓઈલથી હેર ઓઇલિંગ (મસાજ): વાળને પહેલા જેવા જ કાળા, ઘટ્ટ અને મજબૂત બનાવવા માટે લેવેન્ડર ઓઈલ એક બેસ્ટ ઓપ્શન છે. નાહવાના બરાબર 10 મિનિટ પહેલા આ તેલથી વાળમાં હળવો મસાજ કરો અને ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. જો તમારા ઘરમાં ખારું પાણી આવતું હોય, તો આ ઓઇલિંગ થેરાપી વાળને ખારા પાણીના નુકસાનથી પણ બચાવે છે.
ડાયેટમાં સામેલ કરો મલ્ટીવિટામિન્સ: વાળના સારા ગ્રોથ (વિકાસ) માટે આયર્ન, ફોલિક એસિડ અને ઝિંક જેવા પોષક તત્વો ખૂબ જ જરૂરી છે. જો ખોરાકમાંથી આ તત્વો ન મળતા હોય તો ડોક્ટરની સલાહથી મલ્ટીવિટામિન સપ્લીમેન્ટ્સ લઈ શકાય છે. જો કે, લીલા શાકભાજી, ફળો અને ડ્રાયફ્રૂટ્સ જેવા હેલ્ધી ફૂડ્સ દ્વારા પણ તમે કુદરતી રીતે આ પોષક તત્વોનું સ્તર વધારી શકો છો.
બાયોટિનનો ઉપયોગ: વાળના સ્વાસ્થ્ય માટે ‘બાયોટિન’ ને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ એક વોટર-સોલ્યુબલ વિટામિન છે, જે નટ્સ (અખરોટ, બદામ), કઠોળ અને એનિમલ લિવરમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. બજારમાં ખાસ કરીને વાળને ધ્યાનમાં રાખીને બનાવેલા બાયોટિન સપ્લીમેન્ટ્સ પણ સરળતાથી મળી રહે છે.
ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ: આ બંને એવા જરૂરી તત્વો છે જે ઉંમર પહેલા વાળ ખરવાની સમસ્યા સામે રક્ષણ આપે છે. ઓમેગા-૩ અને ૬ શરીરમાં આવતા સોજા કે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે, જ્યારે ઓમેગા-૬ સ્કીન અને સ્કાલ્પ (માથાની ત્વચા) ના હેલ્થમાં સુધારો લાવે છે. આ તત્વોની ઉણપ પૂરી કરવા માટે ડાયેટમાં અખરોટ, અળસીના બીજ અને માછલી (ફિશ) જેવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

