Site icon Revoi.in

‘જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતું અને રહેશેઃ UNHRCમાં ભારતનો પાકિસ્તાનને જવાબ

Social Share

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC) ખાતે 7-18 નવેમ્બર દરમિયાન યુનિવર્સલ ટાઈમલી રિવ્યુ (UPR) વર્કિંગ ગ્રૂપના 41મા સત્રને સંબોધિત કરતા, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મંચ પર કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો અને રહેશે. તેમણે એમ પણ કહ્યું કે 2019માં બંધારણીય ફેરફારો બાદ હવે આ પ્રદેશના લોકો દેશના અન્ય ભાગોની જેમ તેમની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરવામાં સક્ષમ છે.

તેમણે UNHRCને કહ્યું હતું કે, “સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો અને હંમેશા રહેશે.” મહેતાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યના બંધારણીય ફેરફારો અને પુનર્ગઠન પછી, આ પ્રદેશના લોકો હવે દેશના અન્ય ભાગોની જેમ તેમની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરવામાં સક્ષમ છે. પાકિસ્તાનના પ્રતિનિધિએ સમીક્ષા પ્રક્રિયામાં તેમની ટિપ્પણી દરમિયાન જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ મહેતાની પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાની પ્રતિનિધિએ ઓગસ્ટ 2019 થી લીધેલા પગલાંને ઉલટાવી લેવા અને પ્રદેશમાં સ્વતંત્ર નિરીક્ષકોની ઍક્સેસ સહિત છ ભલામણો કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ પાકિસ્તાને વિરોધ કર્યો હતો. એટલું જ નહીં વિવિધ મંચ ઉપર ભારતની કાર્યવાહી મામલે કાગારોડ મચાવ્યો હતો. બીજી તરફ ભારત પણ પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપી રહ્યું છે.

Exit mobile version