ટોક્યો, 30 મે 2026: જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચીની સરકારની નીતિઓ વિરુદ્ધ જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. શુક્રવારે જાપાનની રાજધાની ટોક્યોમાં રાષ્ટ્રીય સંસદ ભવનની સામે લગભગ 10 હજાર લોકોએ એકત્ર થઈને સરકારની ‘જોખમી’ નીતિઓનો જોરદાર વિરોધ કર્યો હતો. યુદ્ધ ન થવા દો થીમ હેઠળ આયોજિત આ રેલીમાં પ્રદર્શનકારીઓએ સરકારના તાજેતરના નિર્ણયો સામે બાયો ચડાવી હતી. દેખાવકારોના હાથમાં ઘાતક શસ્ત્રોની નિકાસ બંધ કરો અને યુદ્ધ દ્વારા નફો કરવાનું બંધ કરો જેવા બેનરો હતા. લોકોએ “નો વોર”, “નો મિલિટરી બીલ્ડઅપ” અને “પ્રોટેક્ટ પીસ” ના નારા લગાવીને શાંતિની માંગ કરી હતી.
રેલીમાં ભાગ લેનાર માત્સુઝાવા નામના એક નાગરિકે જણાવ્યું હતું કે, તેમને લાગે છે કે જાપાન દિવસેને દિવસે લશ્કરીકરણ તરફ ધકેલાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તાકાઈચી સરકાર બંધારણની કલમ 9 માં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહી છે અને જાસૂસી વિરોધી કાયદા લાવી રહી છે, જે બીજા વિશ્વયુદ્ધ પહેલાની પરિસ્થિતિની યાદ અપાવે છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, “મારા બાળકનું ભવિષ્ય અને શાંતિપૂર્ણ જાપાન જોખમમાં છે.”
તાકાઈચી વહીવટીતંત્ર ઘરેલું સ્તરે સૈન્ય વિસ્તારની સાથે સાથે પાડોશી દેશો સાથે સુરક્ષા સહયોગ પણ વધારી રહ્યું છે. તાજેતરમાં જ તેમણે ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ સાથે સંરક્ષણ કરાર કર્યા છે, જેમાં જાપાન દ્વારા ફિલિપાઈન્સને વિનાશક જહાજો નિકાસ કરવાની યોજના પણ સામેલ છે. એક મહિલા પ્રદર્શનકારીએ જણાવ્યું કે, ઘાતક શસ્ત્રોની નિકાસ બંધારણનું ઉલ્લંઘન છે અને આ પગલાં પ્રાદેશિક તણાવમાં વધારો કરશે.
‘અસાહી શિમ્બુન’ ના અહેવાલ મુજબ, આ દિવસે સમગ્ર જાપાનમાં લગભગ 150 સ્થળોએ સંકલિત વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા માર્ચ મહિનામાં પણ આશરે 8,000 લોકોએ મિસાઈલ તૈનાતી અને શસ્ત્રોની નિકાસમાં છૂટછાટ આપતી સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

