Site icon Revoi.in

ખાલિસ્તાનીઓએ બ્રિટનમાં તિરંગાનું કર્યું અપમાન,ભારતે દિલ્હીમાં બ્રિટિશ રાજદ્વારીને બોલાવ્યા

Social Share

દિલ્હી:બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે હંગામો મચાવનારા કટ્ટરપંથી ખાલિસ્તાનીઓએ ભારતનો ધ્વજ નીચે ઉતારી દીધો હતો. આ ઘટના બાદ ભારત સરકારે દિલ્હી સ્થિત બ્રિટિશ રાજદ્વારીઓને બોલાવ્યા છે.

સમન્સમાં, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં બ્રિટનના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ મોકલવામાં આવી રહ્યું છે. અમે લંડનના હાઈ કમિશનમાં અલગતાવાદી અને કટ્ટરપંથી તત્વોની કાર્યવાહીની નિંદા કરીએ છીએ. બ્રિટિશ સરકારે ખુલાસો કરવો જોઈએ કે જ્યારે હાઈ કમિશનમાં આવું કામ થઈ રહ્યું હતું તો સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી શા માટે? આ વિયેના કન્વેન્શનના નિયમોનું પણ સીધું ઉલ્લંઘન છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત સરકારને આશા છે કે બ્રિટિશ સરકાર તાત્કાલિક પગલાં લેશે અને આરોપીઓની ધરપકડ કરશે. અમને આશા છે કે તેમને સજા થશે અને ભવિષ્યમાં બ્રિટન પ્રયાસ કરશે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

હકીકતમાં, એક દિવસ પહેલા, ભારતના પંજાબ રાજ્યની પોલીસે કટ્ટરવાદી સંગઠન ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહને ભાગેડુ જાહેર કરીને તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ત્યારથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ડરથી, પંજાબમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. અમૃતપાલના 78 સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. તેની પણ જોશભેર શોધ કરવામાં આવી રહી છે.

બીજી તરફ અમૃતપાલના સમર્થનમાં તેમના સમર્થકો વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે લંડનમાં હાઈ કમિશનમાં અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન પાછળ પણ આ કારણ હોઈ શકે છે.