Site icon Revoi.in

ગાંધીનગરમાં PM મોદીએ દાનમાં આપેલી જમીન પર નાદ બ્રહ્મ કલા કેન્દ્રનું CMના હસ્તે ખાતમુહૂર્ત

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ  સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સેકટર-1 ખાતે સંગીત વિદ્યાના કલા કેન્દ્ર ‘નાદ બ્રહ્મ‘નું ખાતમુહૂર્ત કર્યું હતું. ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળી રહે તેવા ઉમદા હેતુથી ગાંધીનગરમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેકટર 1 ખાતે ભવ્યાતિભવ્ય ‘નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.

વડાપ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમને ગાંધીનગરમાં મળેલી જમીન મનમંદિર ફાઉન્ડેશનને ભેટ સ્વરૂપે આપી છે, તેમાં ભવ્ય ‘નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્રનું નિર્માણ થશે, જે ભારતીય સંસ્કૃતિ અને સંગીતકલાના જતન માટે સમર્પિત હશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારથી જ દેશની જનતાને તેમનો પરિવાર માનીને પોતાને મળેલી તમામ ચીજ વસ્તુઓ જનતા જનાર્દનના હિત માટે અર્પણ કરે છે. તેઓએ પોતાને મળતી ભેટ સોગાદો, અંગત ચીજ વસ્તુઓ, વગેરેનો પણ દેશની જનતાના હિત માટે જ ઉપયોગ કર્યો છે. તેઓ ખાસ કરીને દેશની મહિલાઓ અને યુવાનોના ઉત્થાન માટે તેમજ વિવિધ સામાજિક કાર્યો માટે આવી ભેટ સોગાદો સમર્પિત કરતા આવ્યા છે.

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેકટર 1 ખાતે ભવ્યાતિભવ્ય ‘નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ‘નાદ બ્રહ્મ‘કલા કેન્દ્ર અદ્યતન સુવિધાઓથી સુસજ્જ હશે. જેમાં 200 વ્યક્તિની ક્ષમતા સાથેનું થિયેટર, 2 બ્લેક બોક્સ થિયેટર, સંગીત અને નૃત્ય શીખવા 12 થી વધુ બહુઉદ્દેશીય વર્ગ, અભ્યાસ અને સાધના માટે 5 પર્ફોર્મિંગ સ્ટુડિયો, 1 ઓપન થીયેટર, દિવ્યાંગો માટે વિશેષ સેન્સોરિયલ ગાર્ડન, આઉટડોર મ્યુઝિકલ ગાર્ડન, આધુનિક લાયબ્રેરી, સંગીત ઇતિહાસને પ્રદર્શિત કરતું સંગ્રહાલયનો સમાવેશ થાય છે.

આગામી સમયમાં ‘નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્ર સંગીત કલા ક્ષેત્રની ગતિવિધિ માટેનું વિશિષ્ટ કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત કેફેટેરિયા અને ફાઈનડાઈન રેસ્ટોરન્ટ પણ કેમ્પસમાં કાર્યરત રહેશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટી ચેરમેન જશવંત પટેલ, મનમંદિર ફાઉન્ડેશનના અગ્રણીઓ, કલા રસિકો, શહેર સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.