Site icon Revoi.in

ખેડા-મહિસાગરઃ ઉદવહન સિંચાઈ યોજના હેઠળ 120 તળાવો મારફતે સિંચાઈનું પાણી પુરુ પડાશે

Social Share

અમદાવાદઃ ખેડા અને મહીસાગર જિલ્લાના 61 ગામોના 120 તળાવોને ઉદવહન સિંચાઇ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડી અંદાજે 8100 હેક્ટર વિસ્તારમાં સિંચાઇના પાણીની સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ ઉદવહન સિંચાઇ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 794.40 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનું જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.

ખેડા અને મહીસાગર જિલ્લાના ખેડૂતોને સિંચાઇના પાણી માટે વિશેષ સુવિધા પુરી પાડવાના ઉદ્દેશ સાથે લેવામાં આવેલા આ નિર્ણયની વિસ્તૃત વિગતો આપતા જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ અને ગલતેશ્વર તાલુકાના 35 ગામોના 83 તળાવો તેમજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 26 ગામોના 37 તળાવો એમ કુલ 120 તળાવોને ઉદવહન સિંચાઇ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડવામાં આવશે.

જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ખેડા જિલ્લાનાં કપડવંજ, કઠલાલ અને ગલતેશ્વર તાલુકા તેમજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનો એક મોટો હિસ્સો નર્મદા મુખ્ય નહેર અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેરની વચ્ચે આવેલો છે. જેની પૂર્વ દિશાએ મહી નદી આવેલી છે. આ 4 તાલુકાના મોટા ભાગના ગામોને કોઇપણ સ્ત્રોતમાંથી સિંચાઇના પાણીનો લાભ મળતો નથી. સિંચાઇથી વંચિત આ વિસ્તારના લોકો તેમની આજીવિકા માટે મુખ્યત્વે ખેતી પર આધાર રાખે છે. આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટે પાણીનો લાભ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યોજનામાં મહી નદીમાંથી મહીસાગર જિલ્લાના નમનાર ગામમાં ટોડિયા રૉક નજીકથી 53.87 એમ.સી.એમ. જેટલા પાણીના જથ્થાનો વપરાશ માટે 200 ક્યુસેક ક્ષમતાની રાઈઝીંગ મેઈન, પંપીગ સ્ટેશન અને ઈન્ટેક વેલ બનાવવાનું આયોજન છે. આ યોજનામાં એક પમ્પીંગ સ્ટેશન અને બે ડિસ્ટ્રીબ્યુશન ટેન્કનું બાંધકામ કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ ડિસ્ટ્રીબ્યુશન ટેન્ક (કેપેસિટી-40 લાખ લિટર) રૈયોલી ગામ, બાલાસિનોર પાસે તથા બીજી ડિસ્ટ્રીબ્યુશન ટેન્ક (કેપેસિટી- 60 લાખ લિટર) મુનજીના મુવાડા, બાલાસિનોર પાસે બનાવવાનું આયોજન હોવાનું પણ મંત્રીએ ઉમેર્યુ છે.