Site icon Revoi.in

કુનો નેશનલ પાર્ક : ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં લોકો ચિત્તાના દર્શન કરી શકાશે

Social Share

ભોપાલઃ દેશમાં લગભગ 70 વર્ષ બાદ ફરી એકવાર ચિત્તાઓને વસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠ નામીબિયન ચિત્તાઓનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. હાલમાં દેશવાસીઓએ માત્ર તસવીરો કે વીડિયોમાં જ ચિત્તા જોયા છે, પરંતુ નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો ચિતાના દર્શન કરી શકશે. કુનો નેશનલ પાર્કમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં 500 હેક્ટરના વિશાળ જગ્યામાં ચિત્તાઓને ખુલ્લામાં છોડવાની તૈયારી કરવામાં આવી રહી છે. વિશાળ મેદાનમાં ચિત્તા છોડવાથી પ્રવાસનને પણ લીલી ઝંડી મળશે. જે બાદ પ્રવાસીઓ કુનો નેશનલ પાર્ક પહોંચીને ચિત્તાના દર્શન કરી શકશે.

સુત્રોના જણાવ્યા અનુસાર હાલમાં કુનોમાં સ્થાયી થયેલા તમામ ચિત્તા સંપૂર્ણ સ્વસ્થ છે અને શિકાર કરી રહ્યા છે. ચિત્તા પ્રવાસન વિકસાવવા માટે, સરકાર કુનો નજીક સ્થાયી થયેલા સહરિયા આદિવાસી પરિવારોને હોમ સ્ટે ચલાવવા માટે તાલીમ આપી રહી છે. અત્યાર સુધીમાં ચાર સહરિયા પરિવારોની તાલીમ પૂર્ણ થઈ છે. તાલીમમાં સહરિયા પરિવારોને સ્વચ્છતા જાળવવા અને વિદેશી પ્રવાસીઓને ભોજન રાંધવાની ટ્રિક્સ શીખવવામાં આવી રહી છે. આ સાથે તેમના ઘરોમાં સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં વધુ છ પરિવારોને તેની તાલીમ આપવામાં આવી રહી છે. નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (NRLM) અને ઇકોટુરિઝમ બોર્ડે આ પ્રોજેક્ટ માટે ઘરોની પસંદગી કરી છે.

કુનો નેશનલ પાર્કમાં ચિતા સફારી માટેના નિયમો ટાઇગર રિઝર્વની જેમ જ હશે. કુનોમાં સફારી માટે પ્રવાસીઓએ ઓનલાઈન બુકિંગ કરવું પડશે. કુનોમાં ત્રણ ઝોન છે. ચિત્તાઓને ટિકટોલી ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આહેરા અને પીલ-બાવડી ઝોન છે. કુનો ત્રણેય ઝોનમાં કુલ 180 કિમીનો ટ્રેક ધરાવે છે. કુનોમાં ચિત્તાના આગમન પહેલા જ ટિકટોલી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. ચિત્તાના રક્ષણ માટે ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું છે. જ્યાં ચિતાઓ છે ત્યાં 70-80 કિમીનો ટ્રેક છે. ટાઈગર રિઝર્વ અને મધ્યપ્રદેશના અન્ય પર્યટન સ્થળોની દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ મુલાકાત લે છે. જેને ધ્યાનમાં રાખીને કુનો નેશનલ પાર્કમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં 60 ગાઈડને અંગ્રેજી શીખવવામાં આવે છે. વિશ્વમાં પ્રથમ વખત પ્રાણીઓનું આંતરખંડીય સ્થાનાંતરણ થયું છે. ડીએફઓ પ્રકાશ વર્માના જણાવ્યા અનુસાર, ચિત્તા 50-100 ચોરસ કિલોમીટરના વિસ્તારને પોતાનો વિસ્તાર બનાવે છે. અમે તે મુજબ પ્રવાસન માટે અમારી તૈયારીઓ કરી રહ્યા છીએ.