Site icon Revoi.in

લઠ્ઠાકાંડઃ બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના એસપીની કરાઈ બદલી, બે ઉચ્ચ પોલીસ અધિકારી સસ્પેન્ડ

Social Share

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 50થી વધારે લોકોના મોત થયાં હતા. જ્યારે હજુ અનેક લોકો સારવાર હેઠળ છે. બીજી તરફ સમગ્ર પ્રકરણને લઈને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ સરકાર દ્વારા જવાબદાર મનાતા પોલીસ કર્મચારીઓ સામે કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લઠ્ઠાકાંડને પગલે ગૃહવિભાગે બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર યાદવની બદલી કરવામાં આવી છે.જ્યારે બોટાદના DySP એસ.કે.ત્રિવેદી અને ધોળકાના DySP એન.વી.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત બરવાળા PSI બી.જી.વાળા, રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના PI કે.પી.જાડેજા વિરૂદ્ધ સસ્પેન્શનના પગલાં લેવાયા હોવાનું જાણવા મળે છે. .

ઝેરી દારૂકાંડને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે અને પોલીસ તરફથી 10 દિવસમાં આ કેસને લઈને ચાર્જશીટ દાખલ કરશે. રોજીદ ગામના સરપંચના પત્ર મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, સરપંચના પત્ર બાદ છ વખત પોલીસે જે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. 20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી બુટલેગરો મિથેનોલ લાવવા મજબૂર બન્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રોજિદ ગામ અને તેના આસપાસના ગામમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં બુટલેગરો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.