ગાંધીનગર, 20 જૂન, 2026: ગુજરાતના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે, ‘અતુલ્ય વારસો’ સમાચારપત્રની પ્રથમ ડિજિટલ અને પ્રિન્ટ (હાર્ડકોપી) આવૃત્તિનું તાજેતરમાં જ સત્તાવાર વિમોચન કરવામાં આવ્યું છે. ઇતિહાસ, વારસો, સંસ્કૃતિ, પ્રવાસન, પર્યાવરણ, પુરાતત્વ અને કલાને સમર્પિત આ ગુજરાતનું એકમાત્ર રજિસ્ટર્ડ પ્રકાશન છે.
આ પ્રથમ અંકની ડિજિટલ તેમજ હાર્ડકોપી બંને આવૃત્તિઓનું વિમોચન ગાંધીનગર જિલ્લાના અધિક કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડ, શ્રી ઇલેવનભાઈ ઠાકર, કવિ સોહમ પાલનપુરી, ડૉ. વિષ્ણુસિંહ ચાવડા અને ‘અતુલ્ય વારસો’ ટીમની ગૌરવવંતી ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
આ પ્રકાશનનો મુખ્ય ઉદ્દેશ આપણા ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિની વાતોને ડિજિટલ તેમજ પ્રિન્ટ બંને માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડવાનો છે. આપણા આ સમૃદ્ધ વારસાની ઉજવણી કરવા અને તેને વધુ પ્રચલિત બનાવવા’અતુલ્ય વારસો’ ટીમ નિરંતર પ્રયત્નશીલ રહે છે.

