નવી દિલ્હીઃ બિહારમાં દૈનિક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવીને આવકવેરા વિભાગે 37.5 લાખની રકમ ભરવાની નોટિસ મોકલાઈ હોવાનું જાણવા મળે છે. આ શ્રમજીવી દરરોજ રૂ. 500 કમાઈને પરિવારનું ગુજરાન ચલાવે છે અને આવકવેરા વિભાગની નોટિસ જોઈને શ્રમજીવી પરિવાર ચોંકી ઉઠ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના ખગડિયા જિલ્લાના મધૌ ગામમાં રહેતા ગિરીશ યાદવ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શ્રમજીવી મહિને રૂ. 12થી 15 હજારની આવક ધરાવે છે. અલૌલી પોલીસ સ્ટેશનના એસએચઓ પુરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ગિરીશ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીના આધારે અમે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ છેતરપિંડીનો મામલો હોવાનું જણાય છે.”
એસએચઓએ કહ્યું કે ફરિયાદીને તેના નામે જારી કરાયેલા પાન નંબર વિરુદ્ધ નોટિસ મળી છે. રિપોર્ટ અનુસાર, SHOએ કહ્યું, “ગિરીશનું કહેવું છે કે તે દિલ્હીમાં કામ કરે છે. જ્યાં તેણે એકવાર બ્રોકર દ્વારા પાન કાર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેણે ફરી ક્યારેય બ્રોકર સાથે મુલાકાત કરી નથી.” આ સિવાય ITની નોટિસમાં ગિરીશ રાજસ્થાન સ્થિત કંપની સાથે સંકળાયેલો હોવાનું જણાવવામાં આવ્યું છે.