- પર્યાવરણલક્ષી અને કિફાયતી ચુલ્હાની ચર્ચા
જલગાંવ, 25 મે 2026 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના કાર્યકર વિકાસ વર્ગ (પ્રથમ)નું આયોજન હાલમાં ખાનદેશ એજ્યુકેશન સોસાયટીના એમ.જે. કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. એકવીસ દિવસ ચાલનારા આ તાલીમ વર્ગમાં 255 સ્વયંસેવક શિક્ષાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ઉપરાંત 40 થી 50 કાર્યકરો વિવિધ વ્યવસ્થાઓમાં કાર્યરત છે. આમ, દરરોજ લગભગ 700 થી 800 લોકોના બે સમયના ભોજનની વ્યવસ્થા કરવાનું મોટું પડકારરૂપ કામ વર્ગ સમક્ષ હતું. પરંતુ સંઘની કાર્યપદ્ધતિ મુજબ પર્યાવરણલક્ષી, સ્વદેશી અને ઓછા ખર્ચાળ વિકલ્પ શોધવાનો પ્રયત્ન આ વખતે ખાસ ચર્ચાનો વિષય બન્યો છે.
દેશમાં ઇંધણ બચત અંગે સતત ચર્ચા ચાલી રહી છે અને વડાપ્રધાને પણ ઇંધણ બચાવવાનું આહ્વાન કર્યું છે. આવી સ્થિતિમાં જલગાંવના આ વર્ગમાં તેનું પ્રત્યક્ષ અમલીકરણ જોવા મળી રહ્યું છે. ઈરાન-અમેરિકા યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવ અને ઉપલબ્ધતા અંગે ચિંતા ઊભી થઈ છે, તેવી પૃષ્ઠભૂમિમાં આ પ્રયોગ વધુ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ ઈંધણના ભાવ ફરીથી વધ્યાં, પેટ્રોલના ભાવમાં રૂ. 2.60 અને ડીઝલમાં 2.80નો વધારો
ખર્ચમાં જંગી બચત
સામાન્ય રીતે 700 થી 800 લોકો માટે રસોઈ બનાવવા દરરોજ ઓછામાં ઓછા બે મોટા એલપીજી ગેસ સિલિન્ડરની જરૂર પડતી. દરેક સિલિન્ડરનો ખર્ચ ગણતા રોજનો અંદાજે 6 હજાર રૂપિયાનો ખર્ચ થવાનો હતો. આખા 21 દિવસના વર્ગ માટે ગેસનો ખર્ચ સવા લાખ રૂપિયા સુધી પહોંચી શકે તેવી શક્યતા હતી. પરંતુ સંઘના વ્યવસ્થાપકોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો.
ધુલેના સ્વયંસેવક રાહુલ કુલકર્ણીએ વિશેષ પ્રકારની ચુલ્હી તૈયાર કરી આપી. આ ચુલ્હીમાં એલપીજીના બદલે પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્રોતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કપાસ અથવા તુવેરના સુકાયેલા છોડ તથા ગાયના છાણને મિશ્રિત કરીને બનાવેલા “વૂડ બ્લોક્સ” આ ચુલ્હીનું મુખ્ય ઇંધણ છે. ખાસ વાત એ છે કે તેમાં ધુમાડો થતો નથી. બજારમાં લગભગ 3 રૂપિયા પ્રતિ કિલોના દરે મળતા આ વૂડ બ્લોક્સ/બ્રિક્સ 150 થી 200 રૂપિયામાં એક ગુણી તરીકે સરળતાથી ઉપલબ્ધ છે.
આ પ્રયોગના કારણે જ્યાં દરરોજ 6 હજાર રૂપિયાનો એલપીજી ખર્ચ થવાનો હતો, ત્યાં હવે માત્ર 300 રૂપિયામાં રસોઈનું કામ પૂર્ણ થઈ રહ્યું છે. એટલે કે દરરોજ મોટા પ્રમાણમાં ઇંધણ બચત સાથે ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને આ વિકલ્પ માત્ર સસ્તો જ નહીં પરંતુ પર્યાવરણલક્ષી પણ છે. ખેતીમાંથી બચેલો જૈવિક કચરો ઉપયોગી ઇંધણમાં પરિવર્તિત થવાથી પર્યાવરણ સંરક્ષણને પણ મદદ મળી રહી છે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માત્ર હક નહીં પણ કર્તવ્યો પર ભાર મૂકવો પડશેઃ ડૉ. ભરતભાઈ પટેલ
સરકાર્યવાહ દત્તાત્રેય હોસબળેએ કર્યા વિશેષ વખાણ
સરકાર્યવાહ દત્તાત્રેય હોસબળે ત્રણ દિવસ સુધી વર્ગસ્થળે હાજર રહ્યા હતા. તેમણે વર્ગની તમામ વ્યવસ્થાઓ અને ઉપક્રમોની વિગતવાર માહિતી મેળવી. ચુલ્હીનો આ પ્રયોગ તેમણે જાતે નિહાળ્યો અને તેની માહિતી મેળવી. ત્યારે તેમણે આ અનોખા પ્રયોગના ખાસ વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે, “આવો પ્રયોગ દેશભરમાં ચાલતા સંઘ શિક્ષા વર્ગો અને અન્ય કાર્યક્રમોમાં પણ અમલમાં મુકવો જોઈએ. જલગાંવના આ પ્રયોગ વિશે હું વ્યક્તિગત રીતે માહિતી આપીશ.”
સંઘના વિવિધ તાલીમ વર્ગોમાં શિસ્ત, આયોજન અને સ્વાવલંબનને હંમેશા મહત્ત્વ આપવામાં આવે છે. જામનેર ખાતેના સંઘ શિક્ષા વર્ગમાં પણ આ જ ચુલ્હીનો ઉપયોગ શરૂ થયો છે. તેથી જલગાંવ અને જામનેરના આ પ્રયોગે “ઓછા ખર્ચે અસરકારક વ્યવસ્થાપન”નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં, મોટા સામૂહિક કાર્યક્રમોમાં અથવા સામાજિક ઉપક્રમોમાં પણ આવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગ અંગે હવે ચર્ચા શરૂ થઈ છે.
પર્યાવરણ સંરક્ષણ, ઇંધણ બચત અને સ્વદેશી ટેકનોલોજીનો સુંદર સમન્વય સર્જતો આ પ્રયોગ અનેક લોકો માટે પ્રેરણાદાયક બની રહ્યો છે.

