Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ શિંદે જૂથને રાહત, સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની ગેરલાયકાતને હાલ પૂરતી અટકાવી

Social Share

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને મોટી રાહત આપી છે. ડેપ્યુટી સ્પીકરે ધારાસભ્યોને આજ સુધીનો સમય આપ્યો હતો, જો કે, શિંદે જૂથને મોટી રાહત આપતા, સુપ્રીમ કોર્ટે અયોગ્યતાની નોટિસનો જવાબ આપવા માટે 11 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. આ રીતે, શિંદે જૂથના ધારાસભ્યોની ગેરલાયકાતને હાલ માટે અટકાવી દેવામાં આવી છે.

એકનાથ શિંદેની અરજી પર સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવ, કેન્દ્ર અને ડેપ્યુટી સ્પીકર સહિત અન્યને નોટિસ ફટકારી છે. ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલે એકનાથ શિંદ અને અન્ય 15 ધારાસભ્યોને ગેરલાયકાતની નોટિસ આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે ધારાસભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ અને તેમની સંપત્તિને નુકસાન ન થાય તેવા પગલાં લેવા જોઈએ.

હવે આ કેસની આગામી સુનાવણી 11 જુલાઈએ થશે. એવું પૂછવામાં આવ્યું છે કે જ્યારે બળવાખોર ધારાસભ્યોએ તેમની સામે અવિશ્વાસની નોટિસ આપી હતી, ત્યારે ડેપ્યુટી સ્પીકરે તેને ગૃહમાં મૂક્યા વિના કેવી રીતે બરતરફ કરી દીધી? મતલબ કે તેમની સામેની નોટિસમાં તેઓ પોતે જજ કેવી રીતે બન્યા? બળવાખોર ધારાસભ્યોએ કોર્ટમાં કહ્યું કે, ડેપ્યુટી સ્પીકરની ભૂમિકા શંકાસ્પદ છે, તો તે તેમને (બળવાખોર ધારાસભ્યોને) ગેરલાયકાતની નોટિસ કેવી રીતે જારી કરી શકે?, બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ પહેલા હાઈકોર્ટમાં જવું જોઈતું હતું.

આ સાથે મહારાષ્ટ્રમાં રસ્તાઓ પર શિવસૈનિકો અને શિંદે સમર્થકોની લડાઈ પણ જોવા મળી રહી છે. થાણેમાં આજે મોટી સંખ્યામાં શિંદે સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શિવસેનાના બળવાખોર નેતાઓના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે.