Site icon Revoi.in

દાહોદમાં મેઘમહેર : વનતલાવડી અને પરકોલેશન ટેન્ક છલકાયાં

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસતા જલાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દાહોદ જિલ્લામાં મેહુલિયાએ અમીદ્રષ્ટિ કરી છે અને આકાશમાંથી વરસેલા કાચા સોનાને વનવિભાગે આબાદ ઝીલી લીધું છે. અષાઢમાં વરસેલા વરસાદે જિલ્લામાં સુઝલામ સુફલામ યોજના અંતર્ગત બનાવાયેલી 26 વનતલાવડી અને 50 પરકોલેશન ટેન્કમાંથી મોટા ભાગનાને છલકાવી દીધા છે. આ વનતલાવડીઓ અને પરકોલેશન ટેન્ક સંપૂર્ણપણે ભરાઇ જતા અનુક્રમે 971 લાખ લીટર અને 50 લાખ લીટર પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.

દાહોદ જિલ્લાના ૯ તાલુકાઓમાં બારીયા વન વિભાગના કાર્યવિસ્તારમાં સુઝલામ સુફલામ જળ અભિયાન 2022 અંતર્ગત 26 સેન્ટરો પર નવીન વનતળાવો અને 50 સેન્ટરો ઉપર પરકોલેશન ટેન્કની કામગીરી પૂર્ણ કરાઇ હતી. આકાશમાંથી વરસેલા દરેક બુંદને સંગ્રહ કરી લેવાના ઉદ્દેશ સાથે વન્યજીવોને વર્ષભર પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે સઘન રીતે આ કામગીરી કરાઇ હતી. આ કામગીરીથી આસપાસના ગામડાઓના કુવા, હેન્ડપંપ, તળાવોના પાણીના સ્તર ઉંચા કરવા તેમજ ખેડૂતો વર્ષ દરમિયાન એક થી વધુ પાક લઇ શકશે. આ વનતલાવડીઓથી વનવિસ્તારનું પણ જતન થશે અને જંગલ વધુ ગાઢ બનશે.

દાહોદ જિલ્લામાં 26 સેન્ટરો ખાતે રૂ. 26 લાખના ખર્ચે નવા વન તળાવ ઉભા કરાયા છે. જેમાં 509 માનવદિનની રોજગારી પ્રાપ્ત થઇ હતી. તદ્દઉપરાંત આ વન તળાવ સંપૂર્ણ ભરાય જતા 971 લાખ લીટર જળક્ષમતા મળશે. જેથી આસપાસના કુવા, હેન્ડપંપના પાણીના સ્તર ઉંચા આવતા સ્થાનિક લોકોને પણ સીધો લાભ મળશે. વાવેતર કરાયેલા રોપાઓ માટે આ પાણી નવજીવન આપશે તેમજ વન્યજીવો માટે પણ પાણીની સુવિધા મળશે.

તદ્દઉપરાંત બારીયા વનવિભાગ દ્વારા જિલ્લાના 50 સેન્ટર ઉપર 50 પરકોલેશન ટેન્ક તૈયાર કરાયા છે. રૂ. 8.46 લાખના ખર્ચે તૈયાર કરાયેલા આ ટેન્ક પણ વરસાદી પાણીથી છલકાવા લાગ્યા છે. સંપૂર્ણપણે ભરાયા બાદ 50 લાખ લીટર પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. આ ટેન્ક બનાવવા માટે 1128 માનવદિનની રોજગારી ઉભી કરાઇ હતી.

વનવિભાગ દ્વારા ચોમાસાના વાવેતર પ્લોટોમાં રોપાઓના વાવેતર માટે સીધો લાભ આ જળસંગ્રહથી મળશે. આ ટેન્ક એ રીતે તૈયાર કરાયા છે કે એક ઇંચ વરસાદ વરસસે તો રોપાને ૫ ઇંચ વરસાદનો લાભ મળશે. આ નાની લાગતી પણ ખૂબ અદભૂત પરિણામ આપતી કામગીરી વનવિભાગ દ્વારા કરવામાં આવી છે.