Site icon Revoi.in

મોડાસા-રાજેન્દ્રનગર રોડ: વર્ષોથી અધૂરું કામ અને વધતી અકસ્માતની ભીતિ

Modasa-Rajendranagar Road, ફોટો- હેમંત પરમાર

Modasa-Rajendranagar Road, ફોટો- હેમંત પરમાર

Social Share

અહેવાલ અને તસવીરોઃ હેમંત પરમાર, મોડાસા, 27 માર્ચ, 2026 – Modasa-Rajendranagar Road મોડાસા થી રાજેન્દ્રનગર જોડતો મહત્વપૂર્ણ માર્ગ છેલ્લા છ વર્ષથી નિર્માણાધીન હોવા છતાં હજુ સુધી પૂર્ણ થયો નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. શરૂઆતમાં માર્ગના એક ભાગ માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવીને કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે બીજા ભાગ માટે મંજૂરી પ્રક્રિયા ચાલી રહી હોવાથી સમગ્ર પ્રોજેક્ટ લાંબા સમયથી અધૂરો પડ્યો છે.

માર્ગ અને મકાન વિભાગ, અરવલ્લી જિલ્લાના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર પી.ડી. સુથારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમની વાતચીત પરથી એવું લાગતું હતું કે તેઓ આ મામલે પોતાની કોઈ ખાસ જવાબદારી માનતા નથી. તેમણે જવાબદારી આગળ ધપાવી એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી ચૌધરીનો સંપર્ક કરવા કહ્યું. ત્યારબાદ ચૌધરી સાહેબે જણાવ્યું કે જરૂરી મંજૂરી મળ્યા પછી જ કામ ફરી શરૂ કરવામાં આવશે. આ પ્રકારની જવાબદારી ટાળતી વૃત્તિના કારણે સ્થાનિકોમાં અસંતોષ વધુ ઉંડો બન્યો છે.

આ પણ વાંચોઃ ભવિષ્યની અદ્રશ્ય દીવાલ: શું તમે ખરેખર સુરક્ષિત છો?

હાલમાં રસ્તાની માત્ર એક બાજુ તૈયાર છે અને એ જ માર્ગ પર બંને દિશાના વાહનોની અવરજવર ચાલી રહી છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે બનાવેલા રોડ અને હજુ બાકી રહેલા રોડ વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવ્યો છે, પરંતુ ત્યાં રોડ સ્ટડ એટલે કે માર્ગ પ્રતિબિંબકો લગાવવામાં આવ્યા નથી.

રાત્રિના અંધકારમાં આ ડિવાઈડર દેખાતો નથી, જેના કારણે અકસ્માતની ગંભીર શક્યતા ઊભી થઈ છે. અનેક વખત વાહનચાલકોને અચાનક ડિવાઈડર સામે આવી જતાં વાહન નિયંત્રણ બહાર થઈ જાય છે. વરસાદ કે ધુમ્મસ જેવી પરિસ્થિતિમાં તો આ જોખમ અનેકગણું વધી જાય છે.

રોડ સ્ટડ ના લગાવવાના કારણે થતા નુકસાન પર ધ્યાન આપીએ તો, સૌથી મોટું જોખમ જીવલેણ અકસ્માતોનું છે. માર્ગની સીમા અને દિશા સ્પષ્ટ ન દેખાતા વાહનચાલકો ખોટી દિશામાં જઈ શકે છે અથવા સામસામે અથડામણ થઈ શકે છે. ખાસ કરીને એક જ રોડ પર બંને દિશાની ટ્રાફિક હોય ત્યારે આ જોખમ વધુ ગંભીર બને છે.

આ પણ વાંચોઃ નવા શૈક્ષણિક સત્રથી ભાષા-ગણિત અને વિજ્ઞાન સહિત 32 જેટલા પાઠ્ય પુસ્તકો બદલાશે

જો રોડ સ્ટડ લગાવવામાં આવે તો તેની અસરકારકતા ખૂબ ઊંચી હોય છે. રાત્રે વાહનના હેડલાઈટના પ્રકાશમાં રોડ સ્ટડ ચમકે છે અને માર્ગની સીમા તથા ડિવાઈડર સ્પષ્ટ રીતે દેખાડે છે. આથી ડ્રાઈવર યોગ્ય દિશામાં વાહન ચલાવી શકે છે અને અકસ્માતોની સંભાવના નોંધપાત્ર રીતે ઘટે છે.

સ્થાનિક લોકોની માંગ છે કે માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે રોડ સ્ટડ લગાવીને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. વર્ષોથી ખેંચાતું આ કામ હવે પૂર્ણ થાય અને લોકો માટે સલામત માર્ગ ઉપલબ્ધ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Exit mobile version