Site icon Revoi.in

ભારતીય સેનામાંથી બ્રિટિશ શાસન સાથે જોડાયેલી તમામ વસ્તુઓ દૂર કરવાની મોદી સરકારની વિચારણા

Social Share

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નૌકાદળના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું, જેમાંથી બ્રિટિશ શાસનનું પ્રતીક રેડ ક્રોસ હટાવી દેવામાં આવ્યું છે. હવે સેનામાં તે તમામ પ્રથાઓને ખતમ કરવાની વિચારણા ચાલી રહી છે, આપણને બ્રિટિશ શાસનની યાદ અપાવે છે. આગામી સમયમાં સૈનિકોના યુનિફોર્મ, સમારંભો તેમજ રેજિમેન્ટ અને ઈમારતોના નામમાં ફેરફાર જોવા મળી શકે છે. ગુરુવારે યોજાનારી બેઠકમાં સેનાના એડજ્યુટન્ટ જનરલ પ્રવર્તમાન રીત-રિવાજો, જૂની પ્રથાઓ અને નીતિઓની સમીક્ષા કરશે.

સોશિયલ મીડિયામાં હાલ એક એજન્ડા નોટ ઝડપથી વાયરલ થઈ રહી છે, તેની ઉપર અનેક લોકો પોતાના પ્રતિક્રિયા આપી રહ્યાં છે. સૈન્યના સૂત્રોએ જણાવ્યું હતું કે માત્ર એજન્ડાની નોંધોના પરિભ્રમણનો અર્થ એ નથી કે તમામ સૂચનો લાગુ કરવામાં આવશે. કોઈપણ ફેરફારો લાગુ કરવામાં આવે તે પહેલાં તેની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

સમીક્ષા બેઠકની એજન્ડા નોંધ મુજબ, જૂની અને બિનઅસરકારક પ્રથાઓને દૂર કરવાનો સમય આવી ગયો છે. સેનાના યુનિફોર્મ અને સાધનસામગ્રીમાં ફેરફાર લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હાલ એ સ્પષ્ટ નથી કે ખભાની આસપાસ દોરડું યથાવત રહેશે કે કેમ. આ સિવાય રેજિમેન્ટના નામ પર પણ વિચાર કરવામાં આવશે. શીખ, ગોરખા, જાટ, પંજાબ, ડોગરા, રાજપૂત અને આસામ જેવી પાયદળ રેજિમેન્ટને અંગ્રેજોએ નામ આપ્યું હતું.