Site icon Revoi.in

નકવીનો અહંકાર યથાવત, BCCIની ચેતવણી બાદ પણ એશિયા કપ ટ્રોફી આપવાનો ઇનકાર

Social Share

દુબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ ફરી એકવાર ભારત સામે અડગ વલણ રાખ્યું છે. BCCI તરફથી સ્પષ્ટ ચેતવણી મળ્યા બાદ પણ નકવીએ ટીમ ઈન્ડિયાને એશિયા કપ ટ્રોફી આપવાનો ઇનકાર કર્યો છે.

મોહસિન નકવીએ જણાવ્યું છે કે તેઓ ખાસ પ્રેઝન્ટેશન સેરેમનીનું આયોજન કરશે અને તેમાં જો BCCI ઇચ્છે તો પોતાના કોઈ પણ ખેલાડીને ટ્રોફી સ્વીકારવા મોકલી શકે છે. નકવીએ આ મુદ્દે ઝુકવાની કોઈ નિશાની દર્શાવી નથી.

BCCIએ તાજેતરમાં મોહસિન નકવીને પત્ર લખીને ટીમ ઈન્ડિયાને ટ્રોફી સોંપવાની માંગણી કરી હતી. જોકે, નકવી પોતાના નિર્ણય પરથી તટસ્થ છે. અહેવાલ મુજબ, ACCના સ્ત્રોતોએ જણાવ્યું કે BCCI સચિવ દેવજીત સૈકિયા, ઉપપ્રમુખ રાજીવ શુક્લા તેમજ શ્રીલંકા અને અફઘાનિસ્તાન સહિતના અનેક બોર્ડોએ પણ નકવીને પત્ર લખ્યો હતો કે ટ્રોફી ભારતને આપવી જોઈએ.

નકવીનું સ્પષ્ટ કહેવું છે કે, “જો BCCIને ટ્રોફી જોઈતી હોય તો પોતાનો પ્રતિનિધી દુબઈ મોકલો અને મારી હાજરીમાં જ ટ્રોફી સ્વીકારી લો.” બીજી તરફ BCCI પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂકી છે કે ભારતીય ટીમનો કે બોર્ડનો કોઈ સભ્ય નકવીના હાથેથી ટ્રોફી સ્વીકારશે નહીં.

હાલમાં એશિયા કપની ટ્રોફી દુબઈ સ્થિત ACCના ઓફિસમાં જ રાખવામાં આવી છે. અહેવાલ મુજબ, મોહસિન નકવીએ કડક આદેશ આપ્યો છે કે તેમની મંજૂરી વિના ટ્રોફીને એક ઇંચ પણ ખસેડવામાં ન આવે.