Site icon Revoi.in

પાકિસ્તાને એક મહિનામાં અફઘાનિસ્તાન ઉપર કરેલા હુમલામાં 800થી વધુના મોત

Social Share

કાબુલ, 18 માર્ચ 2026: અફઘાનિસ્તાનમાં ચાલી રહેલું યુદ્ધ હવે એક ભયાનક નરસંહારનું સ્વરૂપ લઈ રહ્યું છે, જેમાં પાકિસ્તાન દ્વારા નિર્દોષ નાગરિકોને નિર્દયતાથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાબુલની હોસ્પિટલ પર થયેલા હુમલા બાદ, જેમાં 400 લોકો માર્યા ગયા હતા, હવે કુલ નાગરિકોના મોતનો આંકડો 835 પર પહોંચ્યો છે. નિષ્ણાતોના મતે, આ યુદ્ધ પાછળનું સાચું કારણ આતંકવાદ નથી. પાકિસ્તાને પુરાવા વગર અફઘાન તાલિબાન પર ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) ને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. વાસ્તવમાં, પાકિસ્તાન માટે મુખ્ય મુદ્દો અફઘાનિસ્તાનની સ્વાયત્તતા છે. 2021માં સત્તામાં પરત ફર્યા પછી, તાલિબાને પાકિસ્તાન સામે ઝૂકવાનો ઇનકાર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે અફઘાનિસ્તાન હવે પાકિસ્તાનનો કોઈ પ્રાંત નથી.

નિષ્ણાંતોના મતે, પાકિસ્તાની સંસ્થાઓ પોતાના દેશમાં આ યુદ્ધને યોગ્ય ઠેરવવા માટે ખતરનાક રમત રમી રહી છે. ISI એ કથિત રીતે તેના કટ્ટરપંથી પ્રોક્સીઓને સ્થાનિક પાકિસ્તાનીઓને નિશાન બનાવવા સૂચના આપી છે, જેથી આ હુમલાઓ અફઘાનિસ્તાન દ્વારા કરાયા હોવાનું દર્શાવી શકાય. પાકિસ્તાનમાં શિયા સમુદાય પર થતા હુમલાઓને અફઘાનિસ્તાન સાથે જોડીને પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા આ યુદ્ધમાં પાકિસ્તાની હવાઈ હુમલા અને તોપમારાને કારણે અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 22 બાળકો અને 87 મહિલા સહિત 835 વ્યક્તિના મોત થયાં છે જ્યારે 1300થી વધારે લોકો ઘાયલ થયાં છે. જ્યારે 540 મકાનોને ભારે નુકશાન થતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયાં છે. પાકિસ્તાને હુમલામાં અત્યાર સુધીમાં 26 મસ્જિદો, 8 મદ્રેસા અને કાબુલ, કંદહાર તેમજ નાંગરહારની 5 હોસ્પિટલોને નષ્ટ કરી છે.

ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના અધિકારીઓના જણાવ્યા મુજબ, શરૂઆતમાં પાકિસ્તાનમાં ઘણા લોકો આ યુદ્ધના વિરોધમાં હતા. પરંતુ પાકિસ્તાની તંત્રએ સોશિયલ મીડિયા દ્વારા અફઘાનિસ્તાન વિરુદ્ધ એટલો નફરતભર્યો પ્રચાર કર્યો છે કે હવે લોકો ત્યાં નાગરિકોના મોતના સમાચાર પર ઉજવણી કરતા જોવા મળે છે. ખાસ કરીને કાબુલની હોસ્પિટલ પરના હુમલામાં ૪૦૦ નિર્દોષોના મોત છતાં પાકિસ્તાને આ વાતનો ઇનકાર કર્યો છે.

વધુ વાંચો: વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી આર્જેન્ટિના ખસી ગયુ

Exit mobile version