અમદાવાદ, 12 મે 2026 – ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં તાજેતરમાં એક નવું પદાર્પણ થયું છે. સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતાં સુશ્રી પિનલ સોજિત્રાએ તેમની પ્રથમ નવલકથા લખીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તાજા પવનની દિશા ખોલી છે. તેમની પ્રથમ નવલકથા ‘પરમસિદ્ધા’નું વિમોચન જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલ ખાતે થયું હતું.
પુસ્તકનું વિમોચન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ‘પરમસિદ્ધા’ને વર્તમાન સામાજિક પૃષ્ઠભૂમિમાં “એક પુત્રીના સંઘર્ષ અને વિજયની પ્રેરણાદાયી ગાથા” ગણાવી હતી.
સાહિત્યકાર અને વિવેચક ઉષા ઉપાધ્યાયે ‘પરમસિદ્ધા’ની ભાષાશૈલી વિશે વાત કરતા કહ્યું કે પિનલ સોજિત્રાના ગદ્યમાં આત્મીયતા અને મજબૂતાઈ બંનેનો અદભૂત સંગમ છે. જ્યારે ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા નવલકથાના વિષયવસ્તુની પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પિનલ સોજિત્રાએ લાગણીઓની ક્ષણોને જ્વેલરની ચોકસાઈ સાથે એકબીજા સાથે જોડી છે.
NIMCJના ડાયરેક્ટર ડૉ. શિરીષ કાશીકર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારી પ્રદીપસિંહ રાઠોડે નવલકથાને વ્યાપક સંદર્ભમાં મૂકતા જણાવ્યું કે પિનલ સોજિત્રાએ જે ઓળખ, જાતિના વિષયો આલેખ્યા છે તે માત્ર ગુજરાતી સાહિત્ય પૂરતા મર્યાદિત નથી, પણ વૈશ્વિક સાહિત્યનો વિષય છે.
આ પ્રસંગે પ્રતિભાવ આવતા લેખિકા પિનલ સોજિત્રાએ જણાવ્યું હતું કે, “પરમસિદ્ધા એક સામાન્ય છોકરીની અસાધારણ મહિલા બનવા સુધીની જીવનયાત્રા છે – આ દરેક યુવાન ભારતીય સ્ત્રીની વાર્તા છે જે પોતાનો માર્ગ જાતે શોધે છે.” ભારતમાં ‘Gen-Z’ સ્ત્રીઓ એક વિશિષ્ટ દબાણનો સામનો કરી રહી છે; તેઓ અગાઉની પેઢીઓ કરતાં વધુ શિક્ષિત અને મહત્વાકાંક્ષી છે, છતાં પણ તેઓએ એવા ઘરેલું વાતાવરણનો સામનો કરવો પડે છે જે તેમની મહત્વકાંક્ષાઓને ગૌણ માને છે. ‘રિષિતા’ આ વિરોધાભાસનો કાલ્પનિક જવાબ છે.
પરમસિદ્ધામાં ‘Gen-Z’ પેઢીની નાયિકા
નવલકથાના કેન્દ્રમાં ‘રિષિતા’ છે – એક યુવતી જેને લેખિકા 2020ના દાયકાની ‘Gen-Z’ પેઢીની સાચી પ્રતિનિધિ માને છે. તે પરંપરાગત અર્થમાં કોઈ વિજયી નાયિકા નથી; તે ઠોકર ખાય છે, પરિવારની અપેક્ષાઓ કે પ્રેમમાં નકારાય છે, પરંતુ તે ફરીથી બેઠી થાય છે. પિનલ સોજિત્રાના જણાવ્યા મુજબ, નવલકથાનો વ્યાપ “અસ્વીકારથી સ્વીકાર સુધી, પરાવલંબનથી આત્મનિર્ભરતા સુધી અને માનસિક વિખંડનથી નવનિર્માણ સુધીનો છે.”

